દિલ્હીના ગોકુલપુરીમાં ૬૦ ઝૂંપડીઓ સળગી

દેશની રાજધાની દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ ૬૦ વધુ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં છે. ફાયરની ૧૩ ગાડી ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ગોકુલપુરી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગમાં ૭ લોકોનાં જીવતા સળગી જવાથી મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ, આગ લાગ્યા બાદ તરત જ ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાકીદે ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે સવારે આ દુઃખદ સમાચાર મળ્યા છે. હું પોતે ત્યાં જઈને પીડિત લોકો સાથે મુલાકાત કરીશ. દિલ્હી ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર, આ ઘટના ગઈમોડી રાત્રે બની હતી. ગોકુલપુરીમાં આગ લાગી હોવાની માહિતી તેમને મળી હતી. માહિતી મળતાં તાત્કાલિક અસરથી ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ દરમિયાન ફાયર ટીમને સળગી ગયેલી હાલતમાં ૭ મૃતદેહ મળ્યા હતા.

દિલ્હી ફાયર વિભાગે આ ૭ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. ઝૂંપડીઓમાં લાગેલી આગમાં સાત મૃતદેહ મળ્યા છે. તમામ મૃતદેહને ઓળખ માટે શબઘર મોકલવામાં આવ્યા છે. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.