અમદાવાદ શહેરના વધુ ૪ તળાવોનું થશે બ્યુટિફિકેશન

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા ૪ તળાવ બ્યુટીફિકેશન માટે સોંપવામાં આવ્યા છે. એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર દ્વારા ૧૧ તળાવ સોપવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ તળાવોના વિકાસને લગતી કોઇ જ કામગીરી હાથ ધરાઇ નથી. તળાવના વિકાસ અને તળાવોની સુંદરતામાં વધારો કરવાનો સરકારનો હેતુ છે. આ સાથે વધુ ચાર તળાવ કોર્પોરેશનને સોંપવાનું જાહેરનામું સરકારે બહાર પાડ્યું છે.

અમદાવાદમાં છેલ્લા ૧૧ મહિનામાં ૧૧ તળાવો કોર્પોરેશનને અપાયા છે. જેમાં માર્ચ મહિનામાં ૪ તળાવ, જૂન-જુલાઇમાં ૨ તળાવ અને ઓગસ્ટમાં ૫ તળાવ સોંપવામાં આવ્યા હતા. આ તળાવોમાં વેજલપુરનું તળાવ, વટવાનું વાંદરવટ તળાવ, છારોડીનું સરકારી તળાવ, ગોતાનું ગામ તળાવ, શીલજનું સરકારી તળાવ, આંબલીનું ગામ તળાવ, ઓગણજમાં આવેલા ૨ ગામ તળાવ, સોલાનું ગામ તળાવ અને હેબતપુરના ગામ તળાવનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકા દ્વાર શહેરની સુંદરતા વધારવાના હેતું અંતર્ગત આ તળાવોને હરવા-ફરવાના સ્થળ તરીકે વિકાસાવાશે. તેમજ આ તળાવોમાં પ્રવાસન-પિકનિક સેન્ટર પણ બનાવાશે. આ તળાવોમાં રિસાઈકલ્ડ વોટર ભરાશે. અમદાવાદ મહાનગરનું ગટરનું પાણી શુદ્ધ કરીને આ તળાવોમાં ઉપયોગમાં લેવાશે.