વડોદરામાં પાણી કાપથી ૩૦ હજાર લોકોને અસર થશે

વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને ૪ દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.

વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા આવતીકાલે ગુરૂવારે તાંદલજા પાણીની ટાંકી ખાતે નવું ટ્રાન્સફોર્મર બેસાડવાની કામગીરી હાથ ધરાતા સાંજના સમયે પાણી વિતરણ પદ્ધતિ ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. પરિણામે ૫ એમએલડી પાણીની ઘટ વર્તાતાં પાણીનો કકળાટ ઉભો થશે અને ૩૦ હજાર લોકોને અસર થશે. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ હસ્તકની તાંદલજા પાણીની ટાંકી ખાતે જુના ટ્રાન્સફોર્મરના સ્થાને નવું ટ્રાન્સફોર્મર બેસાડવાની કામગીરી આવતીકાલે ગુરૂવારે હાથ ધરાશે. જેને પગલે સવારે પાણી વિતરણ કર્યાં બાદ કામગીરી હાથ ધરવામાં આવતાં સાંજના સમયે તાંદલજા પાણીની ટાંકીમાંથી પાણી મેળવતા વિસ્તારોમાં પાણીનો કકળાટ ઉભો થશે.

૧૯ નવેમ્બરને શુક્રવારના રોજ કામગીરી પુર્ણ થયા બાદ ઓછા સમય માટે હળવા દબાણથી પાણી વિતરણ કરાશે. તાંદલજા પાણીની ટાંકીમાંથી સનફાર્મા રોડ, રામેશ્વર રોડ, મકરંદ દેસાઈ રોડ, તાંદલજા, મથુરાનગરી સહિતના વિસ્તારમાં ૧ લાખ વસ્તીને પાણી પૂરું પાડવામાં આવે છે. સમારકામ હાથ ધરાતા ૫ એમએલડી પાણીની ઘટ વર્તાતા તેની અસર ૩૦ હજાર વસ્તીને થવાની શક્યતા છે. જોકે, પાણી પુરવઠા વિભાગ દ્વારા આ પાણીકાપ સમએ સમસ્યાના ઉદભવે તે માટેના પણ પ્રયાસ ધરાયા છે.