વડોદરામાં બે દિવસ ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે

વડોદરાના છાયાપુરી સ્ટેશન પાસેથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થતો હોવાથી રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી શહેર તરફ આવતી ૧૩૫૪ મીમી ડાયાની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી આગામી ૧૫મી તારીખે કરાશે. જેના પગલે તા.૧૫મીએ પાણીના વિતરણ બાદ ૨૪ કલાક સુધીનું મેગા શટડાઉન રખાયું છે. જેના કારણે રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી આવતું પાણી ૧૭ ટાંકી અને ૪ બુસ્ટરને આપવામાં નહીં આવે.

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અંદાજિત ૧૦ લાખ લોકોને ૧૫મીએ સાંજે અને ૧૬મીએ પાણી મળશે નહીં. મેગા શટડાઉનને પગલે રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી શહેરની ૧૭ ટાંકી અને ૪ બુસ્ટરને અસર થશે. જેમાં પૂનમનગર ટાંકી, નોર્થ હરણી, સમા ટાંકી, કારેલીબાગ ટાંકી, આજવા ટાંકી, પાણીગેટ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી, માંજલપુર ટાંકી, એરપોર્ટ બુસ્ટર, વારસિયા બુસ્ટર, ખોડીયાર નગર બુસ્ટર, તથા ગોરવા ટાંકી સુભાનપુરા ટાંકી, સુભાનપુરા બુસ્ટર, વડીવાડી ટાંકી, અકોટા ટાંકી, કલાલી ટાંકીના વિસ્તારના લોકો પાણીથી વંચીત રહેશે.

વડોદરા શહેરમાં ૩ વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને ૪ દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.

વડોદરાના છાયાપુરી સ્ટેશન પાસેથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થતો હોવાથી રાયકા- દોડકા ફ્રેન્ચવેલ તરફથી વડોદરા તરફ આવતી પાઇપલાઇનને શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. જેના પગલે પાણીકાપ રહેશે અને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અંદાજિત ૧૦ લાખ લોકોને પાણી વિતરણ બાદ ૧૬ તારીખે ૨૪ કલાક સુધી પાણીથી વંચિત રહેવું પડશે.