હોમિયોપેથિક દવાના ૧૦ લાખ ડોઝનું વિતરણ કરવામાં આવશેઃ સીએમ રૂપાણી

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાનની અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આયુર્વેદિક વસ્તુઓનું વિતરણ કરવાનો ર્નિણય લેવામાં આવે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ૬૦,૦૦૦ કિલો આયુર્વેદિક દવાઓ તેમજ ૧૦ લાખ ડોઝ હોમિયોપેથી ઔષધી-દવાઓના ઓર્ડર આપીને આ દવાઓનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો ર્નિણય કર્યો છે. આ સાથે જ કોર કમિટીની બેઠકમાં વિજય રૂપાણીએ આ ઔષધીઓ મેળવવા આયુષ અને આરોગ્ય તંત્રને સૂચનાઓ આપી છે. આ દવાઓ મેળવવા માટેના ઓર્ડર પણ આયુષ વિભાગે આપ્યા છે.

મુખ્યપ્રધાને કોરોના સંક્રમણની આ બીજી લહેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધીઓના ઉપયોગથી કોરોના સામેની લડાઈ જીતવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ૩૩ જિલ્લાઓ માટે ૨૯,૭૦૦ કિલો અમૃત પેય ઉકાળાનો જથ્થો, સંશમની વટીનો ૩૦,૦૦૦ કિલો જથ્થો તેમજ ઓર્સેનિક આલબમ ૩૦ના કુલ ૧૦ લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે.

આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા મુખ્યપ્રધાને માર્ગદર્શન આપ્યું હતું. તે મુજબ તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે તેનું વિતરણ જન-જન સુધી કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઈમ્યુનિટી બૂસ્ટ કરતી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે.