પીજીવીસીએલને વીજળી-વરસાદથી ૧.૧૦ કરોડનું થયું નુકસાન, ૫૪ ગામની લાઇટની થઇ અસર

ચોટીલા પંથકમાં ૨ દિવસ રાત્રીનાં વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકાએ કોહરામ મચાવી દેતા પીજીવીસીએલને રૂ. ૧ કરોડનુ નુકસાન અને જિલ્લામાં તોફાની વરસાદથી રૂ. ૧૦ લાખનું નુકસાન થયું હતું. જેથી વીજતંત્રમાં દોડધામ મચતા અસરગ્રસ્ત તમામ વિસ્તારોનો વીજપુરવઠો કાર્યરત કરાયો હોવાનું બહાર આવ્યું હતું. ચોટીલા ઝોન ૧ અને ૨ ના અધિકારી જીજ્ઞાશાબેન સિંગરખીયા અને એન.પી. બગથરીયાએ જણાવ્યું કે વીજળીને કારણે બન્ને ઝોનમાં ૨૦થી વધુ ટ્રાન્સફોર્મર ફેઇલ અને ૫૫૦થી વધુ પીન બળી ગયા હતા. ૧ કરોડ થઈ વધુનું ચોટીલાને નુકસાન હોવાનો હાલ પ્રાથમિક અંદાજ છે. સૌથી વધુ ખેતીવાડી લાઇનની કામગીરીમાં અડચણનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જિલ્લામાં ૩૬ જેટલા વીજપોલ ધરાશાઇ થયા હતા. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં વીજળીના કારણે ૫ જેટલા વીજ ટ્રાન્સફોર્મર બળી ગયા હતા. સૌથી વધુ સાયલા, લીંબડી તેમજ વઢવાણ પંથક સહિતના કુલ ૫૪ ગામડાઓમાં અંધારપટ થઇ ગયો હતો. જિલ્લામાં વીજતંત્રની ૨૭ ટીમ ૧૩૫ લોકો સાથે રાતોરાત કામગીરી શરૂ કરી હતી. જુદા જુદા સ્થળોએ પહોંચીને વીજળીના કારણે નુકસાન થતા ૧૦૫ પીન-ડીસ બદલી હતી. સુરેન્દ્રનગર મુખ્ય પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર વી.જી.મારકણા જણાવ્યું કે, વીજળી-વરસાદની અસર થયેલા તમામ ગામડાઓમાં વીજપુરવઠો કાર્યરત કરાયો હતો.

લીંબડી શહેરના ટાવર બંગલા રોડ પરના વેપારીઓ અને રહીશો દીવસમાં મનફાવે ત્યારે આપતાં વીજ કાપથી કંટાળીને રોડ ઉપર ઉતરી આવ્યા હતા. લોકોએ ફરિયાદ કરતા જણાવ્યું કે રેલવે સ્ટેશન રોડથી ટાવર બંગલા સુધી અનેક વૃક્ષોમાં વીજ વાયરો અડી ગયા છે. અનેક વખત વૃક્ષોની ડાળીઓ કાપી વીજ વાયરો ખુલ્લા કરવા રજૂઆત કરી પરંતુ અમારી રજૂઆત ઉપર ધ્યાન દેવામાં આવ્યું નથી. મેન્ટેનન્સના નામે લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કચેરીના અધિકારીઓ અને કર્મીઓ ગ્રાહકોને ખો આપી રહ્યા હોય તેવું લાગે છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ જણાવ્યું કે છેલ્લા છએક મહિનાથી અમારી હાલત બદતર બની છે. જ્યોતિગ્રામ યોજના કાગળ ઉપર જ હોય તેવું લાગે છે. ૨૪ કલાકમાં ૫થી ૬ કલાક વીજળી ગુલ હોય છે. કાર્યપાલક ઈજનેર એમ.એન.સુમેસરા કામના નામે નોકરીના દહાડા કાઢી પગારની રાહ જોતા લીંબડી શહેર અને ગ્રામ્ય વીજ કચેરીના આળસુ અધિકારીઓ અને કર્મીઓ સામે કડક પગલાં ભરે તેવી માગ કરી છે.

જો ટૂંક સમયમાં વીજ સમસ્યા દૂર નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી હતી. થાનગઢ તાલુકામાં વરસાદને લઇ વીજથાંભલા અને વાયરોને નુકસાન થયું છે. ખાખરાવાળી, ચાંદ્રેલીયા, રાવરાણી ગ્રામપંચાયતે પીજીવીસીએલ નાયબ ઇજનેરને રજૂઆત કરી કે અમારા ગ્રામ્ય વિસ્તારોમાં ૪ દિવસથી વરસાદ બાદ તરત વીજકાપ થઇ જાય છે. જેથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બંધ થઇ જાય છે. કચેરીઓમાં ફોન કરીએ તો જવાબ અપાતો નથી અધિકારીને ફોન કરી તો સ્વિચ ઓફ આવે છે. હળવદના જૂના નવા દેવળીયા, પ્રતાપગઢ, ધુળકોટ, સુરવદર સહિતના ૫ ગામના સરપંચે ઘણા સમયથી ચરાડવા સબ ડિવિઝન નીચેથી ટ્રાન્સફર બદલાવા અગાઉ કરેલી રજૂઆતમાં કરી હતી. પરંત કોઈ નિકાલ નહીં થતા ૫ ગામના સરપંચો અને ખેડૂતોએ ચરાડવા સબ ડિવિઝન કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા. અને નિયમિત પુરવઠો મળતો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી હતી.