વિસનગરમાં મહિના બાદ નર્મદાનું પાણી મળતું થઈ જશે

વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મહિના બાદ વિસનગર શહેર અને તાલુકાની જનતાને નર્મદાનાં નીર મળતાં થતાં પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે તેમ વિસનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં જણાવ્યું હતું. અહીંના માર્કેટયાર્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૨૯ લાભાર્થીઓને આવાસ યોજનાના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિસનગર શહેર અને તાલુકામાં હાલ ધરોઇનું પાણી આવે છે પરંતુ પાણી પુરવઠો ઓછા હોવાના કારણે શહેરીજનોને કેટલીક સમસ્યાઓ પડી રહી છે.

પરંતુ આગામી એક મહિના બાદ નર્મદાના નીર વિસનગર શહેરની જનતાને મળતા થઈ જશે, જેથી શહેર અને તાલુકાના લોકોને પાણીની સમસ્યાનો છુટકારો મળશે. વધુમાં તેમણે રાજ્યમાં પણ સપ્ટેમ્બરના અંત સુધી દરેક ઘરે નળ પહોંચાડવાનું લક્ષ હોવાનું તેમણે જણાવ્યું હતું. વિસનગર તાલુકાના વાલમ ગામ પાસે રૂ.૨૭૨ કરોડની પીવાના પાણીની યોજના બની રહી છે. જેમાં સમ્પ, ફિલ્ટર પ્લાન્ટ અને સ્ટોરેજ સહિત બનાવાઇ રહ્યા છે. જેનાથી વિસનગર શહેર અને તાલુકાની જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવનાર છે. જે કામગીરી પૂર્ણતાને આરે છે. સમારોહમાં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ સહિત નગર સેવકો, ભાજપ શહેર પ્રમુખ મનીષભાઇ સહિત હોદ્દેદારો તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.