રાજયમાં માર્ચ-૨૦૨૩માં વિવિધ જીલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકશાન પહોંચ્યુ છે, ખેડૂતોના તમામ પાકનું નુકશાન વેઠવાનો વેઠવાનો વારો આવ્યો હતો, હવે અંગે રાજ્ય સરકારે પાક નુકશાની અંગેના સર્વેની કામગીરીને પુર્ણ કરી છે. આ માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૫૬૫ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના તેમના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરી સર્વે કરવામાં આવ્યો હતો.

રાજયમાં માર્ચ-૨૦૨૩માં વિવિધ જીલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૫૬૫ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર સંપન્ન કરવામાં આવી છે, એમ ખેતી નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કમોસમી વરસાદ સંદર્ભે ગ્રામીણ કક્ષાએથી ખેડૂત આગેવાનો, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ દ્વારા મળેલી રજૂઆતો/અરજીઓના અહેવાલ ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્ર તથા ખેતીવાડી ખાતાના ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બે દિવસમાં પ્રાથમિક સર્વેની કામગીરી શરુ કરવામાં આવી હતી તથા વિગતવાર સર્વેની જરૂરિયાત જણાતા સ્થાનિક પરિસ્થિતિ મુજબ તા.૦૭/૦૩/૨૦૨૩થી લઈ તબક્કાવાર વિવિધ જિલ્લાઓમાં સર્વે ટીમની રચના કરી વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જસદણ તાલુકાના આટકોટ ગામમાં પણ ખેડુતવાર વિગતવાર સર્વે કરી સર્વે યાદી બનાવવામાં આવી છે જેમાં જે બે ખેડુતોનો સર્વેમાં સમાવેશ થયેલ છે તથા તેઓનાં ખેતર ઉપર સર્વે ટીમ દ્વારા તા. ૦૯-૧૦/૦૩/૨૦૨૩ નાં રોજ સ્થળ મુલાકત લીધેલ જેમાં એક ખેડૂતનાં ખેતરમાં ઘંઉ પાકનુ વાવેતર માલુમ પડેલ તથા કુલ ઘંઉ વાવેતર ૨ હેકટર પૈકી ૦.૬૪ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત/ઢળી પડેલ હોવાનુ જણાયું છે તથા બીજા ખેડૂતનાં ખેતરમાં ૧.૬૦ હેકટર વિસ્તારમાં ઉનાળુ તલ પાકનુ આગોતરૂ વાવેતર માલુમ પડેલ તથા તલ પાક વાનસ્પતિક વૃધ્ધિ અવસ્થાએ માલુમ પડેલ પરંતુ બન્ને ખેડૂતના ખેતર પર નિયત ધોરણ તથા માપદંડ અનુસાર નોંધપાત્ર નુકશાન જણાયું નહોતું એટલે એમનો સહાયમાં સમાવેશ કરાયો નથી.આ અગેના માધ્યમોમાં પ્રસારિત થયેલા સમાચારોનું ખંડન કરવામાં આવે છે.

જિલ્લા કક્ષાએથી અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા તા.૫મી મે૨૦૨૩ થી કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને નોંધપાત્ર  સહાય મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા  SDRFનાં ધોરણો ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાયમાં અત્યાર સુધીનો  મહત્તમ વધારો કરી ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.૯,૫૦૦/- તથા બહુવર્ષાયુ બાગાયતી પાકોના કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.૧૨,૬૦૦/- ચૂકવવાની જોગવાઈ અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી કરવામાં આવી છે.

કમોસમી વરસાદની કામગીરી અંતર્ગત સમગ્ર રાજયમાં રજૂઆતો અન્વયે અસરગ્રસ્ત ખેડુતોનાં ખેતરની મુલાકાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડૂતોનાં latitude/longitude નાં ફોટા મહદઅંશે લેવામાં આવ્યા છે. તથા સર્વે થયા અંગેના ખેડુતો/સ્થાનીક પંચો/પદાધિકારીઓ/આગેવાનો ની સહી સાથે પંચ રોજકામ કરવામાં આવ્યું છે. દરેક નુકશાનગ્રસ્ત ખેડૂતની વિગત સર્વે યાદીમાં નોધવામાં આવેલ છે. સર્વે યાદી/ પંચ રોજકામ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે ઉપલબ્ધ છે. આમ સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર કરવામાં આવી છે.