સાબરમતી નદી પરનો રોડ ધસમસતા પ્રવાહમાં ધોવાયો

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે, જેથી ધરોઈ ડેમમાંથી ૭૬ હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ વધી હતી અને નદી બંને કાંઠે વહી હતી. સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાંજે રિવરફ્રન્ટના બંને છેડે આવેલા લોઅર પ્રોમિનાડ પાણીમાં ડૂબી ગયા હતા. સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં લોકો નવા આવેલા પાણીને જોવા માટે ઊમટી પડ્યા હતા. વર્ષ ૨૦૧૭ બાદ નદીમાં રિવરફ્રન્ટ વોક-વે પાણીમાં ગરકાવ થયા છે. આજે સાબરમતી નદીનો જે નજારો છે એ પાંચ વર્ષ પહેલાં જોવા મળ્યો હતો.રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી ૭૬ હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું.

નદીમાં છોડવામાં આવેલા ધસમસતા પાણીને કારણે કેશવનગર પાસે રેલવે બ્રિજને અડીને બની રહેલા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટેના બ્રિજની કામગીરી પર અસર પડી હતી. બ્રિજ બનાવવા માટે સાબરમતી નદીમાં માટી પાથરી દેવામાં આવી હતી. માટી પુરાણ કરી પિલર ઊભાં કરવા જમીનના ટેસ્ટિંગની કામગીરી અડધાથી વધુ જગ્યા પર પૂરી થઈ ગઈ હતી, પરંતુ સાબરમતી નદીમાં ઉપરવાસથી પાણી છોડવામાં આવતાં બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવેલો ભાગ તૂટી ગયો હતો. બુલેટ ટ્રેનની કામગીરી માટેનાં બેરિકેડ્‌સ પણ નદીમાં વહી ગયાં હતાં. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સાબરમતી સુધી દોડવાની છે. કેશવનગર પાસે આવેલા રેલવે ઓવરબ્રિજની બાજુમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે, જેના માટે સાબરમતી નદીમાં પિલર ઊભાં કરીને છ મહિના પહેલાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. નદીમાં માટીપુરાણ કરીને ટેક્નોલોજીની મદદથી જમીનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. નદીમાં રોડ અડધે સુધી બનાવી દેવામાં આવ્યો હતો.

જોકે ધરોઈ ડેમમાંથી બુધવારે સાંજે મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં ધસમસતા પાણીના પ્રવાહથી બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવેલા માટી અને ડામર પાથરેલો રોડ ધોવાઈ ગયો હતો તેમજ બેરિકેડ્‌સ પણ પાણીમાં તણાઈ ગયાં હતાં. બુલેટ ટ્રેન બ્રિજ માટે છેલ્લા છ મહિનાથી બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, એ પાણીને કારણે તૂટી જતાં ફરી એકવાર કામગીરી કરવી પડશે.