ભાવનગરના કુંભારવાડામાં ૧૫ લાખ લિટર ક્ષમતા ધરાવતી ટાંકીનું શિક્ષણમંત્રીએ લોકાર્પણ કર્યું

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત ૪ કરોડના ખર્ચે ૧૫ લાખ લિટર ક્ષમતાની ઊંચી ટાંકી (ઈ.એસ.આર.)નો લોકાર્પણ કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાર કરોડના ખર્ચે બનેલી ૨૦ મીટર ઊંચાઇ ધરાવતી પાણીની ટાંકી બનવાથી કુંભારવાડા વિસ્તારમાં લોકોને પ્રેસરથી પાણી મળશે તેમજ પાણીને લગતી સમસ્યાનો અંત આવશે. આ ઉપરાંત પણ કુંભારવાડા વિસ્તારમાં આર.સી.સી રોડ અને રસ્તાના કામો હાથ ધરીને આ વિષતરની સમસ્યાનું નિવારણ કરવાં આવી રહ્યું છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પાણીની ઉંચી ટાંકી બનવાથી સમગ્ર કુંભારવાડાના વિસ્તારો જેવા કે ગોપાલનગર, હાઉસિંગ બોર્ડ, ભાનુબેનની વાડી, બજરંગનગર, અપનાનગર, શાંતિનગર, વીરમેઘનગર અમર સોસાયટી, માઢીયા રોડ, મોતી તળાવ, નારી રોડ, ગઢેચી રોડ વગેરે વિસ્તારોને આગામી ૩૦ વર્ષ સુધી પૂરતા પ્રેશરથી પાણી મળવાનો ફાયદો થશે. આ તકે મેયર કીર્તિબાળા દાણીધારીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, કોર્પોરેટરઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.