કમોસમી વરસાદના લીધે સ્ટ્રોબેરીનો પાક બગડ્યો ઓછો પાક થતા ખેડુતોમાં નિરાશા

ગયા અઠવાડિયે પડેલ કમોસમી વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે સ્ટ્રોબેરીને મોટું નુકશાન થયું છે. મહાબળેશ્વર પરિસરના ખેડૂતોએ રીતસરની સ્ટ્રોબેરીઓ ફેંકી દીધી છે. સ્ટ્રોબેરીના છોડવા નાજૂક હોય છે. વરસાદનો મારો તે સહન કરી શકતાં નથી. ડિસેમ્બર મહિનામાં સ્ટ્રોબેરીની આવક મોટા પ્રમાણમાં શરુ થાય છે. સ્ટ્રોબેરીનો પહેલો ફાલ પૂર્ણપણે નક્કામો થયો હોઈ નાતાલમાં સ્ટ્રોબેરીની અછત વર્તાશે. અત્યારે સ્ટ્રોબેરીને ગુણવત્તાનુસાર પ્રતિકિલોએ ૧૦૦ થી ૩૦૦ રુપિયા ભાવ મળી રહ્યો છે.

ગયા વર્ષની તુલનાએ આ વર્ષે સંતોષકારક ભાવ મળ્યો નથી.ડિસેમ્બર મહિને લાલચટક સ્ટ્રોબેરીની માગણી વધે છે. નાતાલ ઉત્સવ દરમ્યાન દેશભરમાં વાઈ, સાતારા, મહાબળેશ્વરની સ્ટ્રોબેરીની માગણી વધે છે. પરંતુ તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે સીઝનમાં જ સ્ટ્રોબેરીના પાકને ફટકો લાગતાં ખેડૂતોએ બગડેલી સ્ટ્રોબેરીનો પાક ફેંકી દેવો પડયો છે. આ વર્ષે સ્ટ્રોબેરીના પાકને ફટકો પડતાં ખેડૂતો અને ફળબજારના વેપારીઓ નિરાશ થયાં છે.