મેઘાનું રૌદ્ર રૂપઃસુરતમાં ૮ ઇંચ, જનજીવનને અસર, પરવત ગામના ૧૫ પરિવારનું સ્થળાંતર

સુરત શહેર અને જિલ્લામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. રવિવારે સાંજે ૬ઃ૦૦થી સોમવાર સવારે ૬ઃ૦૦ વાગ્યાના ૧૨ કલાકમાં આઠ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી પરવત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ ગયાં હતાં. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ૧૫ પરિવારનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. રાતભર મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ કામગીરી કરી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઇકાલ સવારથી જ મોડી રાત સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જિલ્લામાં બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, તાલુકામાં પણ નદીનાળાં છલકાયાં હતાં. શહેરમાં મેયર હેમાલી બોઘાવાલાએ રાતે ૧ વાગ્યા સુધી વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીને કારણે થયેલા પાણી ભરાવાનાં સ્થળોનું આર .જે માકડિયા, ઝોનના કાર્યપાલક ઈજનેર અને ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ નિરીક્ષણ કર્યું જરૂરી સૂચનો કર્યાં હતાં.

સણિયા હેમાદ ગામ ખાતે વરસાદી પાણીના ભરાવાના નિકાલ અર્થે એન.વી ઉપાધ્યાય ( વરાછા બી ઝોન ચીફ) તેમજ કાર્યપાલક ઇજનેર, સ્થાનિક કોર્પોરેટર અને ઉચ્ચ અધિકારીઓ આગેવાનોની ઉપસ્થિતિમાં રૂબરૂ સ્થળ મુલાકાત લઇ તાકીદે યોગ્ય પગલાં લેવા સૂચન કર્યાં હતાં.

પાસોદરા ગામ ખાતે ક્રિષ્ના રોહાઉસના આજુબાજુ વિસ્તારમાં ખાડીના પાણીના તેમજ વરસાદી પાણીના નિકાલ અર્થે એન.વી ઉપાધ્યાય ( વરાછા બી ઝોન ચીફ) તેમજ કાર્યપાલક ઇજનેર, સ્થાનિક આગેવાનો સાથે રૂબરૂ સ્થળ મુલાકાત લઇ તાકીદે પગલાં લેવા સૂચન કર્યાં હતાં. સુરત રેલવે સ્ટેશન પાસે આવેલા ગરનારા ખાતે ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરેલું હોવાથી (વરાછા ઝોન બીના ચીફ) ડી. એમ .જરીવાલા તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ પર ઝડપથી પાણીના નિકાલ થાય એ માટે સ્થળ મુલાકાત લઇ તાકીદે પગલાં લેવા વિનંતી કરી હતી.

સુરત શહેરમાં ૬ઃ૦૦થી ૦૬ઃ૦૦ સુધીમાં છ ઈંચ જેટલો વરસાદ થતાં અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાં હોવાના સમાચાર વહેતા થયા હતા. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે જે પાણી ભરાયાં હતાં એના કરતાં કેટલાક અંશે પાણી ઓછું દેખાતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો છતાં અધિકારીઓ સાથે મળીને જે જે વિસ્તારમાં પાણી ભરાયાં હતાં એને નિકાલ માટેની રસ્તા વ્યવસ્થા ઝડપથી કરવા માટે કામે લાગ્યા હતા.

સુરત જિલ્લામાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. બારડોલી કામરેજ, મહુવા, પલસાણામાં પણ આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં અનેક સ્થળે વીજપોલ પડવાના અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. સુરત જિલ્લાની નદીઓમાં પણ નવા નીર આવ્યા હતા. જિલ્લામાં સતત ૧૨ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસ્યો હતો.

કોર્પોરેટર દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે પર્વત ગામમાં દર વખતે જે રીતે પાણી ભરાતા હતા એ આ વર્ષે ભરાશે નહીં. ચોમાસા પહેલાં આ વિસ્તારમાં લગાવેલા પંપને કારણે તમામ પાણી ઝડપથી નિકાલ કરી દેવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. માત્ર પાદર ફળિયા અને હળપતિ આવાસમાં પાણી ભરાયાં હતાં. ત્યાં પણ અમે પોતે સ્થળ પર પહોંચીને ૧૫ પરિવારને રેસ્ક્યૂ કર્યા હતાં. તકેદારીના ભાગરૂપે તે પરિવારોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો વધુ વરસાદ થાય તો સ્થિતિ બગડે એ પહેલાં જ અમે પરિવારોને સમજાવીને અન્ય સ્થળે ખસેડી દીધા હતા.