રેડ સિગ્નલ પર ગાડી બંધ રાખો પ્રદુષણ ઘટશે : કેજરીવાલ

લોકોએ રેડ સિગ્નલ પર ગાડીનુ એન્જિન બંધ કરવાની જરૂર છે. સરકારનો આંકડો કહે છે કે, આવુ કરવાથી વર્ષે ૨૫૦ કરોડ રૂપિયાના ફ્યુલની બચત થઈ શકે તેમ છે અને ૧૩ થી ૨૦ ટકા પ્રદુષણ ઓછુ થઈ શકે છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે, દિલ્હીમાં કોઈ પણ વિસ્તારમાં પ્રદુષણ વધતુ દેખાય તો સરકારને સૂચના આપવામાં આવે. સાથે સાથે લોકો સપ્તાહમાં એક દિવસ પોતાનુ વાહન ના ચલાવે.

દિલ્હીની આસપાસના રાજ્યોમાં ખેડૂતોએ ખેતરોમાં પરાળી સળગાવવાની શરૂઆત કરી દીધા બાદ દિલ્હીના પ્રદુષણમાં ફરી વધાર થવા માંડ્યો છે. જેના પગલે દિલ્હીમાં ફરી વાહનો માટે ઓડ ઈવન સિસ્ટમ લાગુ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે, છેલ્લા ત્રણ ચાર દિવસથી પ્રદુષણમાં ભારે વધારો થઈ રહ્યો છે. આસપાસના રાજ્યોએ ખેડૂતોને પરાળીનો નિકાલ કરવા માટે મદદ નહીં કરી હોવાથી ખેડૂતો તેને સળગાવવા માટે મજબૂર બન્યા છે.