ભારત ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે

ભારત તેના ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે. સરકાર તેલની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો ર્નિણય લઈ શકે છે. યુક્રેન સામે રશિયાના યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠાને અસર થઈ છે. સરકાર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર પર નજીકથી નજર રાખી રહી છે. સરકાર સંભવિત સપ્લાય અટકવાની દહેશત પર નજર રાખી રહી છે. રિપોર્ટ અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે બજારની ઉથલપાથલ ઘટાડવા માટે ભારત વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ માંથી મુક્તિ માટેની પહેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. જેનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો પણ કાબુમાં આવી શકે છે. જોકે મંત્રાલયે જથ્થા અને સમય અંગે વિગતો આપી નથી.

FY૨૦ વપરાશ પેટર્ન અનુસાર ભારતના વ્યૂહાત્મક અનામતમાં ૫.૩૩ મિલિયન ટન અથવા ૩૯ મિલિયન બેરલની સંગ્રહ ક્ષમતા છે જે ૯.૫ દિવસ પૂરતી છે.  ક્રૂડ ઓઈલ ૮ ટકા વધીને ૧૦૫ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું. રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા પછી આવું થયું હતું. પરંતુ પાછળથી તે પાછું ૯૭ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું કારણ કે યુએસ પ્રતિબંધોએ રશિયા પાસેથી કોઈપણ ઊર્જા પુરવઠાને લક્ષ્ય બનાવ્યું ન હતું. આ પછી સપ્લાયની સમસ્યાનો ડર થોડો ઓછો થયો. યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે કહ્યું કે તેઓ એસપીઆરમાંથી મુક્તિ પર કેટલાક દેશો સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જરૂર પડ્યે અમેરિકા વધારાના બેરલ તેલ પણ રિલીઝ કરશે. કટોકટી રિલીઝ કરવાથી કિંમતો પર અસ્થાયી અસર પડે છે.

જોકે, આવી જાહેરાતોની બજાર પર સારી અસર પડી શકે છે. બજારમાં અત્યારે ઉથલપાથલ ચાલી રહી છે. જો કે, અત્યાર સુધી કોઈ ભૌતિક પુરવઠાની સમસ્યા નોંધાઈ નથી. નવેમ્બરમાં યુએસ, ભારત, યુકે, જાપાન અને કેટલાક અન્ય દેશોએ સંયુક્ત રીતે કિંમતો ઘટાડવા માટે તેમના વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ રિલીઝ કરવાનીની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડને જ્યારે પત્રકારોએ એ પૂછ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત તટસ્થ ભૂમિકામાં છે. આવી સ્થિતિમાં ભારતમાં આ યુદ્ધની શું અસર થશે? તો આ સવાલ પર ભાગવત કરાડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધની અસર ભારત પર પડશે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે.