આણંદ પંથકમાં મળસ્કે છાંટા વરસ્યા, ૫ દિવસ વાદળ રહેશે

આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભેજનું પ્રમાણ વધતાં ભારે બફરો અનુભવાઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારમાં સામાન્ય હળવા છાંટા પડવાની સંભાવના છે. શનિવાર વહેલી પરોઢીએ ૪ વાગ્યાના અરસામાં આણંદ, ઉમરેઠ પંથકમાં અચાનક જ વાતાવરણ પલટાયું હતું. વીજળી ચમકાર વચ્ચે સામાન્ય છાંટા વરસ્યા હતા.જેના કારણે સવારે શહેરના માર્ગો ભીંજાયેલા જોવા મળ્યા હતા. જયારે વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની સંભાવના લઇને તમાકુ પકવતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. આણંદ, સામરખા, ભાલેજ, પણસોરા, સહિત કેટલાંક ગામોમાં વહેલી પરોઢીએ વાતાવરણ પલટાયું હતું. ઠંડા પવન સાથે કેટલાંક વિસ્તારમાં સામાન્ય છાંટા પડયા હતા. જેના કારણે વહેલી સવારે આણંદના માર્ગો ભીંજાયેલા જોવા મળ્યાં હતા. જો કે વાદળછાયા વાતાવરણના પગલે તમાકુ પકવતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

મોટાભાગના ખેતરોમાં તમાકુ ઉભી છે. ત્યારે ભારે માવઠું થાય તો તમાકુના પાકને નુકશાન થવાની ભીતિ વર્તાઇ રહી છે. આણંદ કૃષિ હવામાન વિભાગમાં શનિવારે મહત્તમ તાપમાન ૩૭.૦૫ ડિગ્રી અનેલઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું છે. જયારે પવનની ગતિ ૨.૧ કિમીની નોંધાઇ છે. આગામી ૫ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. જોકે, સામાન્ય છાટાની સંભાવના છે. પાકને નુકસાન નહીં થાય તેવું માવઠું નહી થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.