ફાયર વિભાગના નવા નિર્દશો સામે ડોકટરોની હડતાળથી દર્દીઓ રામ ભરોસે…

જૂનાગઢ શહેરના ખાનગી તબીબો પણ એક દિવસીય હડતાળમાં જોડાશે. ૩૦ જૂન ૨૦૨૨ના હાઇકોર્ટે આર_ રિટ પિટીશન (પીઆઇએલ) નંબર ૧૧૮_૨૦૨૦માં મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકારને ગ્રાઉન્ડ ફ્લોર પર આઇસીયુ હોવું જોઇએ અને કાચના ફસાદ દૂર કરવા અંગે અમુક જોગવાઇઓ લાગુ કરવા સૂચના આપી છે.

રાજ્યભરની હોસ્પિટલોને ૭ દિવસની અંદર તેનું પાલન કરવા રાજ્ય સરકારની નોટીસો મળી રહી છે. આ નિયમોની અમલવારી કરવાની નોટિસો પાયાવિહોણી અને અતાર્કિક છે. કેટલીક જોગવાઇઓ એવી છે કે જેનો કોઇ વૈજ્ઞાનીક આધાર નથી. જેનો અમલ શક્ય નથી તેનો અમલ કરાવવાનો આગ્રહ વ્યાપકપણે જનતા પર મુશ્કેલી સર્જશે. ત્યારે આના વિરોધમાં ખાનગી તબીબો એક દિવસીય હડતાળ પાડશે. જૂનાગઢ શહેરમાં અંદાજે ૩૦૦થી વધુ દવાખાના છે જેના ૪૦૦થી વધુ તબીબો આખો દિવસ માટે હડતાળ પાડી દવાખાના બંધ રાખશે. દરેક દવાખાનામાં અંદાજે ૨૦ દર્દીને ગણીએ તો ૧૫,૦૦૦થી વધુ દર્દીઓ ભગવાન ભરોસે મુકાઇ જશે.

હડતાળ દરિમયાન ઇમરજન્સી સારવાર કે નવા દર્દીની તપાસ પણ કરવામાં નહિ આવે. એક દર્દીની અંદાજે ૨૦૦ની દવા ગણીએ તો પણ એક દિવસમાં અંદાજે ૩,૦૦,૦૦૦થી વધુની દવાનું ટર્નઓવર ઘટશે જેથી સરકારને પણ આવક ઘટશે. જો ગ્રાઉન્ડ ફ્લોરમાં આઇસીયુ યુનિટ રાખવા તેમજ ઉપર જણાવેલી અન્ય જોગવાઇનું પાલન કરાશે તો દર્દીની સારવારનો ખર્ચ વધી જશે. જો દર્દીને નહિ પરવડે તો દવાખાના બંધ કરવાની પણ નોબત આવી શકે છે. પરિણામે દર્દીઓની હાલાકી વધશે. જ્યારે ખાનગી તબીબોની સાથે સરકારને પણ આવક ગૂમાવવી પડશે. આ જોગવાઇનું પાલન કરવાથી દર્દીને ચેપ થવાની સંભાવના વધી જશે. સમગ્ર રાજ્યમાં આઇસીયુ બેડની સંખ્યા ઘટશે જેથી મૃત્યુદર પણ અનેકગણો વઘી જશે. આમ, આ પ્રકારના મૌખિક આદેશની અસર ટૂંકા તેમજ લાંબા ગાળે વિનાશક હોઇ શકે છે.