અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ લીકેજ થતાં લોકોમાં દોડધામ

અનેકવાર તમે સાંભળ્યું હશે કે ગેસ લીકેજ ગેસ ગળતરથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગેસ ઉત્પાદન કરવાનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. જેમાં સંધ્યાકાળ સમયે ગેસ ગળતરની ઘટના બની હતી. જેને લઈ દોડધામ મચી હતી. કંપનીમાંથી મોટા પ્રમાણમાં ગેસ ગળતરના ધુમાડા જોવા મળ્યા હતા.

કંપનીમાં ગેસ ગળતર થતા આજુબાજુના વિસ્તારના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્લાન્ટમાં વાલ્વમાં ક્ષતિના કારણે ઓલિયમ ગેસ લીકેજ થયો હતો. ગેસ ગળતરની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર ફાઈટર અને ડી પી એમ સી સહિત લાગતા વળગતા અધિકારીઓને કરવામાં આવતા અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગેસ ગળતરની ઘટના કારણે કેટલાય લોકોને શ્વાસ લેવામાં તેમજ આંખોમાં બળતરા થવા અંગેની ફરિયાદો ઉઠી હતી.

જોકે, ડી.પી.એમ.સી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી ગેસ ગળતરની ઘટના ઉપર અંકુશ મેળવી લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં છાશવારે બનતી આવી ઘટનાઓ પર અંકુશ આવે એ માટે ગુજરાત પ્રદુષણ નિવારણ બોર્ડ કડક પગલાં ભરે અને અંકલેશ્વરમાં બનતી આવી ઘટનાઓથી સ્થાનિક રહીશોને બચાવે.