ભારતમાં હાલ તમામ પ્રકારના ફ્લૂ ઝડપથી વધી રહ્યા છે ત્યાં કરી છે કોરોના વાયરસે વાપસી

ભારતમાં તમામ પ્રકારના ફ્લૂ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસે પણ વાપસી કરી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૪૨૬ નવા દર્દીઓ સામે આવ્યા છે. કર્ણાટકમાંથી પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક મોત નોંધાયું છે. હાલમાં ભારતમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૪૬૨૩ પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે દેશની રાષ્ટ્રીય અને આર્થિક રાજધાની મહારાષ્ટ્ર અને દિલ્હી સિવાય ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૨૫, ગુજરાતમાં ૬૮, કર્ણાટકમાં ૪૨, કેરળમાં ૩૬ અને દિલ્હીમાં ૩૧ નવા કેસ નોંધાયા છે.

H3N2 થી મૃત્યુનો પ્રથમ કેસ ૧૦ માર્ચે નોંધાયો હતો, જેમાં કર્ણાટકમાં ૮૨ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે, વૃદ્ધાને અગાઉની કેટલીક બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૦ માર્ચે જ એક બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં હરિયાણાના જીંદમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ સાથે તેમને ફેફસાનું કેન્સર પણ હતું. ૧૪ માર્ચે, ગુજરાતના વડોદરામાં ૫૮ વર્ષીય મહિલાનું વાયરસના ચેપથી મૃત્યુ થયું હતું, જેને અગાઉ વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ૧૫ માર્ચે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ૨૩ વર્ષીય મેડિકલ સ્ટુડન્ટનું વાયરસના કારણે મોત થયું હતું, વિદ્યાર્થી કોંકણથી પિકનિક માટે આવ્યો હતો, તપાસમાં જાણવા મળ્યું હતું કે તે પણ કોરોના પોઝિટિવ હતો.

આ સિવાય મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી ૭૪ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ પણ H3N2 ના કારણે થયું હોવાનું કહેવાય છે, તેમને શ્વાસની બીમારી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વૃદ્ધનું ૯ માર્ચના રોજ મૃત્યુ થયું હતું. આ મૃત્યુ અંગે ડોક્ટરોએ H3N2ની શંકા વ્યક્ત કરી છે.

જો કે, તમામ રાજ્યોમાંથી ડેટા ઉપલબ્ધ ન હોવાને કારણે, આ કેસ ઓછા જોવા મળે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે છેલ્લે ૧૦ માર્ચે ડેટા અપડેટ કર્યો હતો. ત્યારબાદ ૯ માર્ચ સુધી દેશમાં H3N2 ના ૩૦૩૮ કેસ હતા અને બે મૃત્યુ થયા હતા.