રાજકોટમાં વીજકાપની વાતો વચ્ચે પાણીકાપ ઝીંકાયો

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર આપેલ યાદીમાં જણાવ્યા મુજબ આજે શહેરના કુલ ૩ વોર્ડમાં પાણીકાપ અંગે જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોન અંતર્ગત ભાદર ડેમની નજીક લીલાખા ગામ પાસે ૯૦૦ એમએમની મેઈન લાઈન લીકેજ હોવાથી રિપેરિંગ કામગીરી સબબ આજે ૩ વોર્ડમાં પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર ૭, ૧૪ અને ૧૭માં પાણી વિતરણ ખોરવાયું છે અને મંગળવારથી રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.  રાજકોટના વોર્ડ નં.૭માં કિશાનપરા સોસાયટી, એસ્ટ્રોન સોસાયટી, ટાગોર રોડ, જાગનાથ પ્લોટ, જન કલ્યાણ સોસાયટી, યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, ધર્મેન્દ્ર રોડ મુખ્ય બજાર, પંચનાથ પ્લોટ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

વોર્ડ નં. ૧૭માં ન્યૂ યોગેશ્વર સોસાયટી, નેહરુનગર, ૮૦ ફુટનો રોડ, પારડી રોડ, ન્યુ રામેશ્વર, અટીકા મેઇન રોડ, હસનવાડી, સહકાર મેઇન રોડ,મોરારીનગર, બાબરીયા કોલોની, સર્વોદય સોસાયટી, બાબરીયાનગર, મ્યુનિસિપલ આવાસ યોજના, ન્યૂ સુભાષનગર, હરિદ્વાર માર્ગ, મિનાક્ષી સોસાયટી, ભારતીનગર, ન્યુ મેઘાણીનગર,રામેશ્વર મેઇન રોડ, દામજી મેપા પ્લોટ, કલ્યાણનગર, સાધના સોસાયટી, નારાયણ નગર ઝુપડપટ્ટીનો સમાવેશ થાય છે.ભાદર ડેમની પાણીની પાઈપલાઈન લીકેજ થતા તેના રિપેરિંગ કામ માટે આજે રાજકોટના ૩ વોર્ડમાં પાણીકાપ ઝીંકાયો છે. શહેરના વોર્ડ નં.૭, ૧૪ અને ૧૭માં આજે સોમવારે પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. બીજી તરફ વોર્ડ નં.૧૧માં ડોહળુ પાણી આવતું હોવાની મનપામાં ફરિયાદ કરતા ત્રણ દિવસથી પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું છે. આથી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને ડહોળા પાણીનો ઉકેલ લાવી નિયમિત પાણી વિતરણ કરવા અંગે મનપા કમિશનર અમિત અરોરાને આવેદનપત્ર પાઠવ્યું હતું.