રાજ્યમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા ડ્રોન દ્વારા ચેરના બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ચેર વૃક્ષના વાવેતર અને સંરક્ષણમાં દેશમાં પશ્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા ચેરના બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધે અને તેનું સંરક્ષણ થાય તેવા લક્ષ્યાંક સાથે મિષ્ટી પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩-૨૪થી ૫ વર્ષ માટે અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સહિત ૯ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોને સામેલ કરાયા છે જેમાં ગુજરાત ચેરના વૃક્ષોના જતન – સંરક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. કચ્છના અબડાસા તાલુકામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૭૦ હેક્ટર તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૩૫ હેક્ટર વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

મંત્રી મુકેશભાઈ પટેલે પેટા પ્રશ્નોનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, આ માટે અબડાસામાં છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૬૨.૧૮ લાખ અને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૯૬ લાખનો ખર્ચ ચેરના વૃક્ષોના વાવેતર માટે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મિષ્ટી પ્રોજેક્ટ અંતર્ગત જુલાઈ ૨૦૨૩માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં દ્વારકા ખાતે અંદાજે ૩૬૫ હેક્ટર વિસ્તારમાં ચેરના વૃક્ષો વાવવાનો પ્રારંભ કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારમાં ઉદ્યોગ માટે ચેરના વૃક્ષો કાપવાની મંજૂરી પણ અન્ય સ્થાને ઉદ્યોગ દ્વારા ચાર ગણા નવા ચેરના વૃક્ષો ઉછેરવાની શરતે જ આપવામાં આવે છે, આ શરતનો અમલ કરાવવા માટે વન વિભાગ દ્વારા સતત નિરીક્ષણ પણ કરવામાં આવે છે.

મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, કચ્છના અબડાસા ઉપરાંત લખપત, અંજાર અને મુન્દ્રા ખાતે અંદાજે કુલ ૬૦૦ ચો.કિ. મીમાં ચેરના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ માટે હજારો માનવ દિનની રોજગારી ઉપલબ્ધ થઈ છે. હાલમાં કેન્દ્રના મિષ્ટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના વલસાડ અને ભરૂચના દરિયા કિનારે પણ ચેરના નવા વૃક્ષો ઉછેરવાનું અભિયાન ચાલી રહ્યું છે.

મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪માં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ ચેર વાવેતર યોજના, કેમ્પા વાવેતર અને ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા રેઈઝબેડ અને બીજ વાવેતર યોજના હેઠળ કુલ ૧,૬૬૦ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ. ૭૫૨.૮૬ લાખના ખર્ચે કુલ ૧૭૧.૬૨ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે કુલ ૯૬,૪૩૬ માનવ દિનની રોજગારી ઉપલબ્ધ થઈ છે. આમ એકંદરે છેલ્લા બે વર્ષમાં કુલ ૨,૩૫૫ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ. ૯૨૪.૬૮ લાખના ખર્ચે કુલ ૨૫૮.૮૪ લાખ ચેરના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કુલ ૧,૧૮,૭૬૭ માનવ દિનની રોજગારી ઉપલબ્ધ બની છે તેમ, મંત્રી મુકેશભાઈ પટેલે ગૃહમાં વિગતો આપતા ઉમેર્યું હતું.