અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં લાગી આગ, ૩ મજૂરો દાઝયા
ભરૂચની અંકેલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. જેને પગલે થોડીવાર માટે અફરાતફરી મચી હતી. કેમિકલના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ઘટનામાં ૩ કામદારો દાઝી ગયા હતા. આ ત્રણેય ઘાયલોને સારવાર માટે ખસેડવામા આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. અંકલેશ્વર GIDCમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી. કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સોલ્વન્ટ ડીસ્ટેલીનેશન પ્લાન્ટમાં ફેબ્રીકેશનની કામગીરી દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.
કંપનીમાં કેમિકલના ડ્રમ હોવાના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી હતી. ભીષણ આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનામાં ત્રણ કામદારો દાઝી જતા તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. શ્યામ એન્ટરપ્રાઈઝમાં આગ લાગ્યાની જાણ થતા ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.











