રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા તળિયાઝાટક

ઉનાળો શરૂ થતાં જ સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ છે. રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા ખાલી થઈ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજી ૧ ડેમમાં ૬૨.૬૬ ટકા જ્યારે ન્યારી ૧ ડેમમાં ૫૫.૦૯ ટકા પાણી સંગ્રહ છે. હવે ઉનાળો કેમ જશે તે મોટો પ્રશ્ન છે. રાજકોટ જિલ્લાના ૨૮ ડેમની હાલની પ્રવર્તમાન સ્થિતિના આંકડા પર નજર કરીએ તો, રાજકોટની જીવાદોરી સમાન આજી-૧ માં ૬૨.૬૬ ટકા પાણીનો જ્યારે ન્યારી-૧ માં ૫૫.૦૯ ટકા પાણી સંગ્રહિત થયેલું છે.

આવી જ સ્થિતિ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની પણ છે. સિંચાઈ આધારિત ડેમમાંથી ચારેક મહિનાથી પાણી છોડાતાં ૩૦ થી ૩૫ ટકા જ પાણી બચ્યું છે. સૌથી વધુ કપરી પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાની છે. પુષ્કળ વરસાદ છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં પાણીનો જથ્થો ઓછો હોવાનું અનુમાન છે. જિલ્લા દીઠ પાણીના સંગ્રહની વાત કરીએ તો, સંગ્રહ શક્તિના પ્રમાણમાં સૌથી ઓછું દ્વારકા જિલ્લામાં ૨૯ ટકા, પોરબંદર જિલ્લામાં ૩૫ ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૧.૮૮ ટકા, જામનગર જિલ્લામાં ૪૫ ટકા જ્યારે રાજકોટ જિલ્લામાં ૫૨.૧૭ ટકા જેટલો પાણીનો સંગ્રહ બચ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા આશરે એક હજાર જેટલા તળાવો અને ચેકડેમો ઉનાળાની શરૂઆતમાં મોટાભાગનાં કોરા કટ થઈ ગયા છે. તાલુકાઓમાં આ ચેકડેમો અને તળાવોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય છે. પરંતુ હવે ચેકડેમો ખાલી થઈ ગયા છે.

રાજકોટ જિલ્લામાં અનેક ગામો એવા છે કે ગામની નજીકમાં જ નદીઓ પર બનાવવામાં આવેલા નાના ચેકડેમો તો શિયાળામાં જ ખાલી થઈ ગયા હતા. ગોંડલ અને જસદણ તાલુકામાં આવા નાના ચેક ડેમોની સંખ્યા વિશેષ છે. તળાવોમાં તો ચોમાસુ પૂરું થયા બાદ લગભગ બે મહિના માંડ પાણી રહ્યું હતું. હાલ તો તે તળીયા ઝાટક થઈને પડયા છે. પશુઓ પાણી પી શકે તેટલુ પાણી કેટલાક તળાવોમાં બચ્યું નથી. હજુ ઉનાળાનાં ત્રણ-ચાર મહિના કાઢવાનાં બાકી છે ત્યારે આ વર્ષે જળ સંકટ ઘેરૂ બનવાનાં સંકેતો મળી રહ્યાં છે.