પક્ષીઓને બચાવનારા એનજીઓએ પીપીઈ કીટ પણ સંસ્થાઓએ જાતે જ ખરીદવી પડશે

સંસ્થાઓના વોલન્ટિયરનું બર્ડ ફ્લૂ સામે રક્ષણ થાય તે માટે સરકારે કોઈ જ મદદ કરી નથી

ગુજરાતમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાયા છે. ત્યારે સરકારે પક્ષીઓનું રેસ્ક્યૂ કરનારા લોકો માટે એક એસઓપી તૈયાર કરવામાં આવી છે. જેમાં પક્ષીઓને બચાવનારા વોલન્ટિયરને ફરજિયાત પણે પીપીઈ કીટ તથા હાથના મોજા ફરજિયાત પહેરવા પડશે. પક્ષીઓને બચાવવાનું કામ કરનારી સંસ્થાઓને બર્ડ ફ્લૂ સામે રક્ષણ મળે તે માટે સરકારે માત્ર એસઓપી જાહેર કરી છે. સંસ્થાઓના વોલન્ટિયરનું બર્ડ ફ્લૂ સામે રક્ષણ થાય તે માટે સરકારે કોઈ જ મદદ કરી નથી. પક્ષીઓને બચાવનારા વોલન્ટિયર માટે પીપીઈ કીટ પણ સંસ્થાઓએ જાતે જ ખરીદવી પડશે. આ અંગે બેજુબાન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જિજ્ઞેશ પંચાલે જણાવ્યું હતું કે અમે દર વર્ષે ઉત્તરાયણના તહેવાર પ્રસંગે તથા જ્યારે પણ પક્ષીઓને ઈજા પહોંચવાનો કોલ મળે ત્યારે તેમને બચાવવાની કામગીરી કરતાં હોઈએ છીએ. અમે સ્વૈચ્છિક સંસ્થા ચલાવીએ છીએ.

અમને આ વખતે સરકારે બર્ડ ફ્લૂમાં પક્ષીઓને બચાવવા માટે પીપીઈ કીટ માટે કે હાથના મોજા માટે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી. અમારી સંસ્થાના ૨૦ થી ૨૫ વોલન્ટિયર્સ પક્ષીઓનું રેસ્ક્યુ કરતાં હોય છે. તેમની પાછળ માત્ર ઉત્તરાયણના સમયમાં જ સંસ્થાને ૭૦ થી ૮૦ હજારનો ખર્ચો કરવો પડે છે. આ ખર્ચો અમને લોકોની મદદથી મળે છે. સરકાર અમને કોઈ સહાય કરતી નથી. તે ઉપરાંત અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થિત બર્ડ રેસ્ક્યૂ સંસ્થા સમવેદના ફાઉન્ડેશન તરફથી પણ જાણવા મળ્યું હતું કે અમે માત્ર પક્ષીને રેસ્ક્યૂ કરીને પશુ દવાખાનામાં સારવાર માટે આપી દઈએ છીએ. અમારે PPE કીટ અમારા ખર્ચે જ ખરીદવાની છે.

સરકાર તરફથી અમને કોઈ મદદ મળી નથી. પક્ષી બચાવો સંસ્થાઓ તરફથી એવું જાણવા મળ્યું હતું કે જ્યારે કોઈ પક્ષી કોઈ ઝાડ કે ધાબા પર ઈજાગ્રસ્ત હાલમાં લટકી રહ્યું હોય ત્યારે તેને નીચે ઉતારતી વખતે વોલન્ટિયર પીપીઈ કીટ નથી પહેરતાં. પરંતુ પક્ષીને લોહી નિકળતુ હોય ત્યારે બે વ્યક્તિઓ તેનું લોહી બંધ કરવા માટે કાર્યરત હોય છે. આ દરમિયાન પીપીઈ કીટ પહેરવી તથા હાથના મોજા પહેરવા ફરજિયાત હોય છે. એક વ્યક્તિ પક્ષીને પકડીને ઉભો હોય છે તો બીજો તેનું લોહી બંધ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. બાદમાં પક્ષીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવું પડે છે. ત્યારે કોઈ પણ પ્રકારની પીપીઈ કીટ પહેરવાની જરૂરીયાત હોતી નથી.