ઘાતક વાયુઓનુ જન્મદાતા માનવ જગત ઓક્સિજન વધારવા જાગૃત ક્યારે થશે….?

વિશ્વમાં વિવિધ દેશોમાં જુદા જુદા પ્રકારના રોગો  સમયાંતરે ત્રાટકતા રહે છે. તો વિશ્વભરને ઘમરોળી નાખતા રોગો પણ ત્રાટકયા છે.  અગાઉના સમયમાં જે તે રોગો ત્રાટક્યા હતા ત્યારે અત્યારના સમય જેવા આધુનિક સંશોધનો,  હેલ્થ સેવાઓ નહીવત પ્રમાણમાં હતા.જ્યારે કે કુદરતી સંપદા વિશ્વભરમાં ભરપુર પ્રમાણમાં પથરાયેલી હતી… તે સાથે ઓક્સિજનનું પ્રમાણ પણ બેહદ હતું. પરંતુ વિશ્વના દેશોમાં વિવિધ સંશોધનો વધવા સાથે  આધુનિક ઉપકરણોની શોધ થવા લાગી. જેના પરિણામે વિવિધ પ્રકારના વિમાનો, વાહનો વગેરે દોડવા લાગ્યા. પરિણામે ધીરે ધીરે હવામા કાર્બનનું પ્રમાણ વધવા લાગ્યું.

તેમજ  વિશ્વભરમાં વિવિધ પ્રકારના ઉત્પાદન કરતા ઉદ્યોગો ઉભા થવા લાગ્યા… જેમાં એ બાબત ધ્યાનમાં રાખવામાં ન આવી કે અનેક ઉદ્યોગો હવા પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણ ભરપૂર માત્રામાં ઓકે છે. અને ધીરે-ધીરે વિશ્વમાં વિવિધ દેશો વચ્ચે આધુનિકતા તરફની દોટ શરૂ થઈ ગઈ તેમજ કેટલાક દેશો વચ્ચે વિકાસ સ્પર્ધાની દોડ વધી ગઈ અને એ વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપદાનું નિકંદન પણ ભરપૂર પ્રમાણમાં કાઢી નાખ્યું ત્યારે વિશ્વના એક પણ દેશઘે એવુ વિચાર્યુ નહી  કે ભવિષ્ય માટે વિકાસની આંધળી દોટ અનેક તકલીફો લાવશે અનેક કુદરતી મુશ્કેલીઓ લાવશે અને માનવ સહિતના જીવો માટે જીવવું દોહ્યલુ કરી નાખશે તેમજ સમગ્ર વિશ્વ માટે મોટી પીડા ઊભી કરશે. જેને  વૈજ્ઞાનિક સંશોધનો પણ પહોંચી શકશે નહીં…. કારણ વિશ્વના દેશોએ કાર્બનનું શોષણ કરતા અને ઓક્સિજન આપતા અબજો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું.

બીજી તરફ વિકાસના નામે હવામાં કાર્બન એટલા પ્રમાણમાં છોડ્યો કે ગ્લોબલ વોર્મિંગનુ મહા સંકટ વિશ્વ પર ઊભું કરી દીધું. તેમજ સ્વચ્છ જળને ભૂતળમાંથી એ હદે ખેચી લીધું છે કે અત્યારના સમયમાં ભૂતળ જળ પ્રદૂષિત બની રહી ગયા છે અને હવે દરિયાના પાણી જમીનમાં ધસી રહ્યા છે. છતાં વિશ્વના દેશો માત્ર પર્યાવરણની વાતો કરે છે પરંતુ જળ અને વાયુ પ્રદૂષણ સંપૂર્ણ રીતે અટકાવી દેવા એક પણ દેશ તૈયાર થયો નથી કે ઝેરી વાયુ ૫૦ ટકા ઓછું કરવા આગળ આવતા નથી અને તૈએનુ કારણ છે દરેક દેશ પર આંધળા વિકાસનુ આંધળું ભૂત સવાર થયેલુ છે…..!!

વિશ્વભરમાં ધરતી પરનુ કુદરતી સંપદા નું નિકંદન કાઢવામાં માનવ જગતે રેકોર્ડ તોડ્યો છે. અમેરિકુ હવામાન સંસ્થા “નોઆ” એ આપેલ ૨૦૨૦ ના  અનુસંધાને  વિશ્વભરને ચેતવણી રૂપ આપેલા અહેવાલમાં  જણાવ્યું છે કે ૨૦૨૦ નું વર્ષ કોરોનાને કારણે શાંત રહ્યું હોવા છતાં હવામા કાર્બનનું પ્રમાણ દર દસ લાખ કણોએ ૪૧૨.૫ નોંધાયું હતું. મતલબ અત્યારે વાતાવરણમાં ઘાતક વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ સૌથી વધારે છે. જેના કારણે સંખ્યાબંધ બીમારીઓ પેદા થાય છે જે માનવજાત સહિતના જીવો અને કુદરતી સંપદાને ભારે નુકશાન કરે છે. બીજી તરફ “ગ્લોબલ ફોરેસ્ટ વોચ”નો અહેવાલ કહે છે કે  ૨૦૨૦ માં ધરતી પરના સવા લાખ ચોરસ મીટર જંગલોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યુ અને તેમાં પણ વાતાવરણ સાચવતાં વિષુવવૃત્ત નજીકના ગાઢ જંગલો કે જ્યાં માનવીય પ્રવૃતિ નહીવત હતી જેનું પણ નિકંદન કાઢી નાખવામાં માનવીએ પાછું વળીને જોયું નથી.જ્યા ૪૨ હજાર ચોરસ કિલો મીટરમા જંગલના વૃક્ષોનુ નિકંદન કાઢી નાખવામાં આવતા….. તેના દ્વારા શોષાતો વાર્ષિક ૨.૬૪ અબજ ટન કાર્બન હવામાં મળશે.

ભારત પણ  જંગલોનુ નિકંદન કાઢી નાખવામાં પાછળ નથી રહ્યું. ૨૦૨૦ માં ૩૮૫ કીલો મીટર ગાઢ જંગલોનુ નિકંદન કાઢી નાખ્યું હતું. કોરોનાની બીજી લહેરે વિશ્વભરના દેશોને અનુભવ કરાવી દીધો છે કે ઓક્સિજન  હોય નહીં કે મળે નહી તો માનવ જીવો સહિતના જીવોનુ શું થાય….? ઓક્સિજનની અછત વિશ્વના અનેક દેશોમાં ઊભી થઈ હતી અને તેના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા…. ત્યારે સવાલ એટલો જ છે કે હવે વિશ્વના દેશો કાર્બન પ્રદૂષણ ઓકતા તમામ સાધનો- ઉદ્યોગો પર પ્રતિબંધ મુકી કે મર્યાદિત સંખ્યા નક્કી કરવા સાથે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તથા કુદરતી સંપદાને સુરક્ષા હેઠળ મુકી ઓક્સિજન વધારવા આયોજન કરશે કે કેમ…..?