સુરતમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકનાં મોત

સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસ.વી.એન.આઇટી કોલેજ નજીક આવેલ ડ્રેનેજની ચેમ્બરમાં શ્રમિકો ઉતર્યા હતા. પાઇપ લાઇનમાં પડતા ગૂંગળામણના કારણે ત્રણ શ્રમિકો બેભાન થઈ ગયા હતા. પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સફાઈની કામગીરી કરવા ઉતાર્યા હોવાની માહિતી મળી રહી છે.

ડ્રેનેજ લાઈનની સફાઈની કામગીરી થઈ રહી હતી ત્યારે એક મજૂર અંદર પડ્યો હતો. અંદર પડતાની સાથે અન્ય એક કામદાર પણ તેને બચાવવા માટે નીચે ઉતાર્યો હતો. જોકે બંને ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા. બંને મજૂરો બહારના આવતા ત્રીજો મજૂર અંદર જઈને જોતા એ પણ ઇજાગ્રસ્ત થયો હતો. અન્ય મજૂરો દ્વારા તેને બચાવીને બહાર કાઢી લેવાયો હતો. જોકે બે મજૂરોના ઘટનામાં મોત થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ બે મજૂરો ગૂંગળાઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળ ઉપર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી.

ડ્રેનેજ લાઈનમાં ગૂંગળામણના કારણે બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે. ચેમ્બરની અંદર મારો ભાઈ નીચે કામ કરવા માટે ઉતર્યો હતો. અંદાજે ૪૦ ફૂટ જેટલા ઊંડેથી માટીની સફાઈ માટે નીચે ઉતાર્યા હતા. મારો ભાઈ નીચે ગૂંગળાતા અન્ય એક મજૂર તેને કાઢવા માટે બહાર ગયો હતો પરંતુ એ પણ અંદર ગૂંગળાઈ જતા બંનેના મોત થયા છે.