ટૂંક સમયમાં પરંપરાગત દવાઓ પર ભારતની મહોર હશે, કેન્દ્રસરકારે સમિતિની પણ રચના કરી

નવીદિલ્હીઃ ટૂંક સમયમાં પરંપરાગત દવાઓ (Traditional medicine) પર ભારતની મહોર હશે. આના કારણે પ્રાચીન દવાઓ અને તેમાંથી બનતી વસ્તુઓ પર ભારતનો એકાધિકાર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત કુદરતી ઉત્પાદનો પર પેટન્ટનો દાવો કરવા માટે નવી અને વૈજ્ઞાનિક તથ્યો આધારિત સિસ્ટમ બનાવવા માંગે છે. આ માટે કેન્દ્ર સરકારે એક સમિતિની પણ રચના કરી છે, જે ટૂંક સમયમાં સંપૂર્ણ સમીક્ષા સાથે વચગાળાનો અહેવાલ રજૂ કરવા જઈ રહી છે. આ ભલામણોના આધારે આગળની નીતિ નક્કી કરવામાં આવશે. આ સમિતિનું નેતૃત્વ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) કરે છે.

કેન્દ્રીય આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કુદરતી ઉત્પાદનો પર પેટન્ટનો દાવો કરવો મુશ્કેલ છે. આને કારણે, ઘણી નવીનતાઓ હોવા છતાં, ઘણા પેટન્ટનો દાવો કરી શક્યા નથી, જ્યારે ભારતમાં હાલમાં વૈકલ્પિક દવા ઉદ્યોગમાં ૯૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યાં છે. આમાંથી એક યુનિકોર્ન કંપની છે, જેનું ટર્નઓવર આઠ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ ક્ષમતાઓ સાથે, ભારત ૨૦૧૪થી આઠ ગણાથી વધુ વિકાસ પામ્યું છે.

૨૦૧૪માં તે ૨૪ હજાર કરોડ રૂપિયાની આસપાસ હતું જે ૨૦૨૦ સુધીમાં ૧.૪૦ લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયું હતું. હાલમાં તે ૨૦૨૩માં રૂ.૧.૫૦ લાખ કરોડના આંકડાને પાર કરી શકે છે. આ બધું હોવા છતાં, જ્યારે પેટન્ટની વાત આવે છે, ત્યારે તે આપણા માટે ઘણા વર્ષોથી એક પડકાર બનીને રહી છે, જેનો સમયસર ઉકેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું કે લીમડાના વૃક્ષને ભારતમાં જીવન વૃક્ષ માનવામાં આવે છે, કારણ કે તેના પાંદડાથી લઈને મૂળ સુધી તે અનેક રોગોમાં રાહત આપે છે.

૧૯૯૫માં એક અમેરિકન કંપનીએ યુરોપમાં લીમડાની પેટન્ટ મેળવી હતી. તેનું નામ નીમિક્સ રાખવામાં આવ્યું અને દર વર્ષે લગભગ છ કરોડ ડોલરનો બિઝનેસ થવા લાગ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબા વિરોધ પછી, ભારતને ૨૦૦૫માં સફળતા મળી, પરંતુ ઘણા દેશો, ખાસ કરીને ચીન, તે ઉત્પાદનોને તેમના માલિકી અધિકાર સાથે આખી દુનિયામાં વેચી રહ્યા છે, જેનું મૂળ અને ઇતિહાસ ભારત સાથે જાડાયેલું છે.

યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ સૂચવે છે કે પરંપરાગત દવાનું જ્ઞાન ઘણું પ્રાચીન છે. બજારમાં આવા ઘણા ઉત્પાદનો છે, જેનું મૂળ પરંપરાગત દવા છે, પરંતુ ખાનગી કંપનીઓ તેને અલગ-અલગ નામથી વેચી રહી છે. યુનિવર્સિટીના પ્રો. ડેનિયલ રોબિસન કહે છે કે ધીરે ધીરે આ કંપનીઓ પેટન્ટ લઈને કાયદેસર રીતે આ સંસાધનો પર કબજો કરવાનું શરૂ કરે છે. આમાં કંપનીઓ અબજોનો નફો કમાય છે અને દેશને નુકસાન થાય છે, પછી તે ભારત હોય કે અન્ય કોઈ દેશ.