જી.એન.એફ.સી. દ્વારા નિર્મિત નર્મદા નેનો યુરિયાનું લોન્ચીંગ કરતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ

વડાપ્રઘાન મોદીના આર્ત્મનિભર ભારતના સ્વપ્નને સાકાર કરવા  અને યુરિયા ખાતરની આયાત ઘટાડીને બહુમૂલ્ય વિદેશી હુંડિયામણ બચાવવાનાના હેતુથી ભારત સરકારે નેનો યુરિયાના વપરાશ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. રાષ્ટ્રવિકાસના આ ઉમદા હેતુમાં સહભાગી થવા માટે જી.એન.એફ.સી. દ્વારા નર્મદા નેનો યુરિયાનો લોન્ચીંગ સમારંભ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તેથી ગીફટ સીટી, ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી ભારતને રાસાયણિક ખાતરોના વપરાશ અંગે આર્ત્મનિભર કરવા દ્રઢ નિશ્ચયી છે. ખેડૂતોને રાસાયણિક ખાતરો વ્યાજબી ભાવે મળી રહે તે માટે રાસાયણિક ખાતરોમાં ભારત સરકાર દ્વારા આ વર્ષે ૧.૭૫ લાખ કરોડ રૂપિયા  સબસીડીની ફાળવણી કરવામાં આવી છે. જે ગત વર્ષે ૨.૨૫ લાખ કરોડ રૂપિયા  જેટલી હતી. દેશનો કુલ યુરીયા વપરાશ ૩૫૦ લાખ મે.ટન છે. ૮૦ થી ૯૦ લાખ મે.ટન જેટલી યુરીયાની આયાત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, રૂ.૨૬૬ ની ૪૫ કિલોની થેલી ભારત સરકારને રૂ.૨૦૦૦-૨૨૦૦ ની પડતર થાય છે. દરેક કંપની વાઈઝ તેની ઉત્પાદન કિંમત મુજબ વધારાની સબસીડી ચુકવવામાં આવે છે. માટે જ ‘વન નેશન વન ફર્ટીલાઈઝર’ યોજના હેઠળ બધા સબસીડી યુક્ત ખાતરો “ભારત” બ્રાન્ડ હેઠળ વેચાણ કરવા માટે સરકાર દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે.

 

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, ઉભા પાકમાં નેનો યુરીયાનો છંટકાવ કરવામાં આવે તો, યુરીયાનો વપરાશ ઘટાડી શકાય. એક બોટલ નેનો યુરીયા જે રૂ.૨૨૫ માં પ્રાપ્ત થાય છે. તે યુરીયા ખાતરની એક થેલી બરાબર અસરકારક છે. નેનો યુરીયાનાં છંટકાવથી નાઈટ્રોજનની સમયસર ભરપાઈ થાય છે. નાઈટ્રોજનનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. સંગ્રહ તથા પરિવહનનો ખર્ચ ઘટી જાય છે. પાકની ઉપજ, ગુણવત્તા અને નફામાં નોધપાત્ર વધારો થાય છે. ખાતરોના વધુ પડતા વપરાશથી થતા જમીન, હવા અને પાણીનાં પ્રદૂષણનો પણ અટકાવ થાય છે. નેનો યુરીયાના વપરાશ થકી રાષ્ટ્રના રૂ.૨૦૦૦ ની બચત આપણે કરી શકીએ. તે સિવાય યુરીયાના વપરાશથી પેદા થતાં નાઇટ્રસ ઓક્સાઇડ જેવા હાનીકારક વાયુ નેનો યુરિયાના ઉપયોગથી પેદા થતાં નથી. જેના પર્યાવરણની રક્ષા પણ થશે.

 

જીએનએફસીને અભિનંદન પાઠવી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘જીએનએફસી’ ની બ્રાન્ડ થકી ‘નર્મદા નેનો યુરીયા’ વેચવાનો ર્નિણય અને તેનો અમલ ખેડૂતોમાં નેનો યુરીયાના વપરાશ માટે પ્રોત્સાહન પુરું પાડશે. કંપનીના ૪૯ જેટલા નર્મદા ખેડૂત સહાય કેન્દ્રો તથા કૃષિ તજજ્ઞોના મજબૂત માળખા સાથે જીએનએફસીની ટીમ વિસ્તરણ કાર્યોમાં કાયમ માટે અગ્રેસર હોય છે. તેમની આ સ્ટ્રેન્થ જ ‘નર્મદા નેનો યુરીયા’ ના પ્રચાર પ્રસાર થકી ઉપયોગમાં તેજી લાવશે.

 

આ પ્રસંગે જીએનએફસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પંકજ જોશી એ જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ યુરિયાના ઉપયોગને ઘટાડીને દેશમાં વિદેશી હુંડિયામણની બચત કરવાના ઉદ્દેશો સાથે જીએનએફસી દ્વારા નર્મદા નેનો યુરિયા તૈયાર કરવામાં આવ્યું છે. જે યુરિયાના મજબૂત વિકલ્પ તરીકે કાર્ય કરશે અને ખેડૂતો માટે આશીર્વાદ ગ્રુપ બની રહેશે. તેમણે આવનારા સમયમાં કંપની દ્વારા નેનો ડીએપી, નેનો ઝીંક જેવા ઉત્પાદનોનું માર્કેટિંગ પણ હાથ ધરાશે તેમ જણાવી જીએનએફસીની મજબૂત નાણાકીય સ્થિતિનો ચિતાર પણ આપ્યો હતો. આ તકે પંકજ જોશીએ નર્મદા નેનો યુરિયાના લોન્ચિંગને ગુજરાતની કૃષિ ક્રાંતિમાં સહભાગી થવાના જીએનએફસી ના પ્રયાસરૂપે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે કૃષિ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા નેનો યુરિયામાં છે.

 

આ પ્રસંગે જીએનએફસીના માર્કેટિંગ વિભાગના વડા જી.કે.પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી નર્મદા નેનો યુરિયા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમના ઓનલાઇન પ્રસારણ થકી રાજયના અનેક વિસ્તારથી ખેડૂતો અને સહકારી અગ્રણીઓ સહભાગી બન્યા હતા.

 

આ પ્રસંગે આણંદના સંસદ સભ્ય મિતેષ પટેલ, કૃષિ સચિવ એ.કે.રાકેશ, જી.એન.એફ.સી. ના ચેરમેન શ્રી વિપુલ મિત્રા, ગુજરાત એગ્રોના એમ.ડી ડી.એચ.શાહ, ગુજકોમાસોલના સી. ઓ. શ્રી દિનેશ સુથાર, રાજ્યના ખેતી નિયામક એસ.જે.સોલંકી સહિત આમંત્રિત માહનુભાવો અને સહકારી સંસ્થાના અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા.