સિદ્ધપુરના બિલિયા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
- કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજ્ય સરકારની યોજનાનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી
- એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે વૃક્ષ વાવી પર્યાવરણ જતન કરવાની નાગરિકોને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે ૧૭મી સપ્ટેમ્બરે પાટણ જિલ્લામાં સ્વચ્છતા, સેવા અને પ્રકૃત્તિ સંવર્ધનને લગતા મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વૃક્ષ વાવી પર્યાવરણ જતન કરવાની અપીલ કરી હતી.
સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કર્યું છે. ભારત દેશના નાગરિકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે અથાક પ્રયાસ કરી રહ્યા છે. આજ પગલે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે. સિદ્ધપુર વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમના લીધે આસપાસના 19 ગામોને રાજ્ય સરકારની 55 યોજનાઓનો સીધો લાભ મળશે. છેવાડાના નાગરિકોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તેને ધ્યાનમાં રાખીને સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં સારો પ્રતિસાદ મળ્યો છે, સેવા સેતુ કાર્યક્રમને લીધે રાજ્યમાં બે કરોડ લોકોને તેનો સીધો લાભ મળ્યો છે. સેવા સેતુ કાર્યક્રમ યોજનામાં લોકોના કામ સ્થળ પર થયા છે જેનો આપને સૌએ ગર્વ લેવો જોઈએ. સેવા સેતુ કાર્યક્રમ એટલે રાજ્ય સરકારના પારદર્શક વહીવટ. સેવા સેતુ કાર્યક્રમ થકી આપ સૌ રાજ્ય સરકારની યોજનાનો લાભ લેજો.