એપીએમસી અને હોમિયોપેથીક કોલેજ, સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
બ્લડ ડોનેશન કરનાર મહાનુભાવોને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા સન્માનિત કરાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન એટલે સદ્દભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃત્તિ સંવર્ધનને લગતા અભિયાનનો પ્રારંભ થયો છે. તે અંતર્ગત સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હોમિયોપેથીક કોલેજમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અઘ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં રોટરી ક્લબ, મોઢ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, રેડ ક્રોસ સોસાયટી, સિદ્ધપુરના ઉપક્રમે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે હું આપ સૌને કહેવા માગું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં લોકોના કલ્યાણની ભાવના પ્રથમ છે. તેમનું એકમાત્ર લક્ષ છે કે ભારતનો વિકાસ કઈ રીતે થાય તેના માટે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ રોડ મેપ ઉપર કામ કરીને ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે આપ સૌ જે રીતે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે તે માટે આપ સૌને હું દિલથી બિરદાવું છું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, મદદનીશ કલેકટર હરિણી કે.આર, પ્રાંત અધિકારી જય બારોટ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, સિદ્ધપુર એપીએમસી ચેરમેન વિષ્ણુભાઇ પટેલ, સંગઠનના આગેવાનો શંભુભાઇ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર ઉપરાંત રોટરી ક્લબ, મોઢ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, રેડ ક્રોસ સોસાયટીના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.