પાલિતાણાના કંજરડા ગામે લાગેલી આગ ૧૪ કલાક બાદ કાબૂમાં

પાલીતાણાના કંજરડા અને અદપરના ડુંગર વચ્ચે ગઈકાલે આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને કાલ બપોરની આગ લાગી હતી. જેમાં આજે સવારે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ એટલી વિકરાળ લાગી હતી કે દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા.

આ આગે જંગલમાં અંદાજે ૨૦૦ હેકટર જેટલી જગ્યાને બળીને ખાખ કરી નાખી હતી. પણ સદનસીબે આગમાં કોઇ વન્ય પ્રાણીને ઈજા થઇ નથી. તેમજ પાલીતાણા ફાયર વિભાગની ટીમે કલાકોની ભારે જહેમત બાદ વિકરાળ આગ પર કાબુ મેળવ્યો હતો. તથા આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.ડુંગર પર લાગેલી વિકરાળ આગ પર ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમતથી સવારે આગ પર કાબુ મેળવતા આજુ-બાજુના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગ બાબતે ભાવનગર ડીએફઓ સંદીપ કુમાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે અંદાજે ૨૦૦ હેકટર જેટલા વિસ્તારમાં આગ લાગી હતી.આ વિકરાળ આગમાં સદનસીબે કોઈ પણ વન્યપ્રાણીને ઇજા થઇ નથી. તેમજ આ આગ લાગવાનું હાલ કોઈ કારણ જાણવા મળેલ નથી.