બારડોલીનગરના આશાપુરા માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાયાં

સુરત શહેર જિલ્લામાં રાત્રે મઘરાજાની તોફાની બેટિંગ જાેવા મળી હતી. રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધીમાં બારડોલી-મહુવામાં ૪, સુરત, પલસાણા અને ચોર્યાસીમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાંં હતાં. બારડોલીમાં ધોધમાર વરસેલા વરસાદમાં આશાપુરા માતા મંદિર વિસ્તાર તેમજ ભરવાડ વસાહત વિસ્તારના માર્ગો પર પાણી ભરાયાં હતાં, જ્યારે સુરત શહેરમાં માનદરવાજા, સહારા દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. આ સાથે સહારા દરવાજા ગરનાળામાં ભરાયેલા પાણીમાં બે પિકઅપ વાન ફસાઈ જતાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

સુરત ફાયર વિભાગે જણાવ્યું હતું કે સુરતમાં રાત્રે પડેલા ભારે વરસાદને લઈ સહારા દરવાજા ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં, જેમાં બે મહિન્દ્રા પિકઅપ વાન ફસાઈ હોવાના કોલ બાદ ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં ગરનાળાની અંદર પિકઅપ વાનના ચાલક પણ ફસાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટોઈંગ કરી બન્ને ભારી વાહનો ગરનાળામાંથી બહાર કઢાયાં હતાં. ડાહ્યાભાઈએ જણાવ્યું હતું કે ચીખલીથી કેરી ભરી કડોદરા થઈ ઉધના જવા માટે સહારા દરવાજા ગરનાળામાંથી પસાર થઈ રહ્યો હતો. આગળનાં બે વાહનો નીકળી ગયાં અને તેમની મહિન્દ્રા વાન ફસાઈ ગઈ હતી. જાેકે ફાયરની મદદથી ચાલક બહાર નીકળી ગયા બાદ મહિન્દ્રા વાનને ટોઈંગ કરી બહાર કાઢવી પડી હતી.