રાજ્યમાં અત્યાર સુધી કૃષિ વાવેતર ૭૫.૮૦ ટકાએ પહોચ્યુઃ મગફળીનું વાવેતર ૧૦૦ ટકાને પાર

વરસાદ મામલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આવતી કાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. ત્યારે હાલમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. જો કે, રાજ્યમાં હજી પણ ૨૮ ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૪૨ મિમી વરસાદ થયો છે. જ્યારે આ સમયે રાજ્યમાં ૩૩૬ મિમી વરસાદ થવો જોઇતો હતો. જો કે, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની રહ્યું છે, પરંતુ તેની વધુ અસર ગુજરાતમાં જોવા મળશે નહીં. તો બીજી તરફ રાજ્યમાં સારા વરસાદને કારણે વાવેતરમાં વધારો થયો છે.

રાજ્યમાં કૃષિ વાવેતર ૭૫.૮૦ ટકાએ પહોંચ્યું છે. રાજ્યમાં મગફળીનું વાવેતર ૧૦૦ ટકાને પાર થયું છે. ૧૮.૬૮ લાખ હેક્ટર વિસ્તારમાં ૧૧૦ ટકા મગફળીનું વાવેતર થયું છે. જ્યારે ડાંગરનું ૪.૨૧ લાખ હેક્ટરમાં ૫૦.૭૧ ટકા વાવેતર થયું છે. બાજરીનું ૧.૨૯ લાખ હેક્ટરમાં ૭૫.૫૪ ટકા વાવેતર થયું છે. મકાઇનું ૨.૭૬ લાખ હેક્ટરમાં ૯૨ ટકા વાવેતર થયું છે. તુવરનું ૧.૭૫ લાખ હેક્ટરમાં ૮૪ ટકા વાવેતર થયું છે.

તો બીજી તરફ મગનું ૫૩ હજાર હેક્ટર વિસ્તારમાં ૬૩ ટકા વાવેતર થયું છે. સોયાબીનનું ૨.૧૭ લાખ હેક્ટર વિસ્તારમાં ૧૬૮ ટકા વાવેતર થયું છે. કપાસનું ૨૧.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં ૮૫ ટકા વાવેતર થયું છે. શાકભાજીનું ૧.૭૧ લાખ હેક્ટર વિસ્તારમાં ૭૦.૯૪ ટકા વાવેતર થયું છે.