શા માટે બનાવવામાં આવી ભરૂચના દહેજ-2માં જીપીસીબીની નવી પ્રાદેશિક કચેરી? જાણો ભરૂચ ઔદ્યોગિક વસાહતની જાણવા જેવી માહિતી
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની ભરૂચ પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ કરાવામાં આવેલ. ભરૂચ સ્થિત ઔદ્યોગિક વસાહતોનો વિકાસ ઝડપી થઈ રહ્યો હોય પ્રદૂષણ નિયંત્રણની કામગીરી સ્થાનિક સ્તરે થાય તે જરૂરી બની રહેતા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-2માં નવનિર્મિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું મુખ્યમંત્રીએ વર્ચુઅલ લોકાર્પણ કર્યું હતુ. ત્યારે ભરૂચ ઔદ્યોગિક વસાહતને લઇને કેટલીક જાણવા જેવી માહિતી અહીં પ્રસ્તુત છે.
ભરૂચ ઔદ્યોગિક વસાહત વર્ષ ૧૯૬૨થી અસ્તિત્વમાં આવેલ છે જેમાં ખંભાતના અખાત પાસે દહેજમાં સ્થિત ગુજરાત પીસીપીઆઈઆર ભારતના ચાર પીસીપીઆઈઆર પૈકીનું એક છે જેનો વિસ્તાર ૪૫૩ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે.
ભરૂચના દહેજ જીઆઇડીસીમાં ૫૧૩ એકમો, સાયખા જીઆઇડીસીમાં ૩૨૭ એકમો, વિલાયત જીઆઇડીસીમાં ૩૯, પાલેજ જીઆઇડીસીમાં ૬૬ અને ભોલાવ-નર્મદાનગર જીઆઇડીસીમાં ૧૯૭ જેટલા કાર્યરત ઔદ્યોગિક એકમો આવેલા છે, જંબુસર ખાતે દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આશરે ૮૦૦ એકરમાં આવી રહેલ છે.
ઉદ્યોગોના ઔદ્યોગીક ગંદા પાણીને જરૂરી ટ્રીટમેન્ટ માટે ૪૦ એમએલડી કેપીસીટી ધરાવતાં ૨ સીઈટીપી (Common Effluent Treatment Plant) દહેજ અને સાયખા જીઆઇડીસીમાં આવેલા છે. જ્યાં ટ્રીટમેન્ટ બાદ શુદ્ધ કરેલ ઔદ્યોગીક ગંદા પાણીને ૫૨.૫ કી.મી (૩૯ કિમી ઓન-શોર + ૪.૫ કિમી ઓફ-શોર, ડિફ્યુઝર સાથે + ૯ કિમી દરિયાકાંઠાના વિસ્તારમાં) લંબાઈની પાઈપલાઈન મારફતે અરબી સાગરમાં નિકાલ કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા વિવિધ વેસ્ટના શુદ્ધિકરણ અને નિકાલ માટે કોમન ફેસીલીટી જેવી કે, કુલ – ૩ ટીએસડીએફ સાઈટ, ૩ કોમન સ્પ્રે ડ્રાયર, ઇન્સીનરેટર સાઈટ, પ્રી-પ્રોસેસીંગ, સીએમઈઈ, ડીકંટામીનેશન ફેસીલીટી આવેલ છે.
ભરૂચ તાલુકો રાજ્યના ઔદ્યોગિક વિકાસ સાથે અર્થતંત્રના વિકાસ અને રોજગારીની તકોના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. હાલમાં ભરૂચ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જુની પ્રાદેશિક કચેરી નર્મદાનગર જીઆઇડીસી ફેઝ-૨માં વર્ષ-૧૯૮૯થી કાર્યરત છે. સદર વિસ્તારમાં જે રીતે ઔદ્યોગીકરણ વધી રહ્યું છે તે જોતાં દહેજ પીસીપીઆઈઆર (PCPIR) ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમોમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી અર્થે સ્થાનિક સ્તરે ઝડપથી કામગીરી કરવી આવશ્યક હોય, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દહેજ ખાતે નવી પ્રાદેશિક કચેરી બનાવવામાં આવી છે.