બંગાળની ખાડીમાં ચોમાસાની મોસમનું પ્રથમ ચક્રવાત રેમલ આજ સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે

કોલકાતા: હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન રેમલ ને લઈને આગાહી કરી હતી કે આજે રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે આ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં ચોમાસાની મોસમનું આ પ્રથમ ચક્રવાત હશે. આ ચક્રવાતને કારણે ૧૦૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૨૬ અને ૨૭ મેના રોજ ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં ૨૭ અને ૨૮ મેના રોજ વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૨૬ મેના રોજ વરસાદની સંભાવના છે. ચક્રવાતને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. આ સિવાય પહેલાથી જ દરિયામાં રહેલા માછીમારોને ૨૬ મે પહેલા દરિયાકાંઠે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી) એ ચક્રવાતી તોફાન ‘રેમલ’ને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. દરિયામાં જાનમાલના સંભવિત નુકસાનને ઘટાડવા માટે નવ આપત્તિ રાહત ટીમોને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘૯ ડિઝાસ્ટર રાહત ટીમો હલ્દિયા, પારાદીપ, ગોપાલપુર અને ફ્રેઝરગંજમાં તૈનાત કરવામાં આવી છે. આ સિવાય પૂર્વ કિનારે ૧૦ જહાજ અને ૨ એરક્રાફ્‌ટ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી તેઓ દરિયામાં હાજર કે જતા માછીમારો પર નજર રાખી શકે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૨૪ મેના રોજ પશ્ચિમ મધ્ય અને તેની નજીકના દક્ષિણ બંગાળની ખાડીમાં ખેપુપારા (બાંગ્લાદેશ)થી લગભગ ૮૦૦ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કેનિંગ (પશ્ચિમ બંગાળ)થી ૮૧૦ કિમી દૂર મધ્ય બંગાળની ખાડી પર ચિહ્નિત નીચા દબાણનું ક્ષેત્ર બન્યું હતું દક્ષિણમાં વાવાઝોડુંમાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું હાલમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ૨૬ મેની મધ્યરાત્રિની આસપાસ સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.