ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ઉ. ગુજરાત યુનિવર્સિટી

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિ.માં ૧૫ દિવસમાં તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ઓક્સિજનની અછતને પગલે દર્દીઓને સારવાર મેળવવામાં મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ઓક્સિજન મેળવવા માટે દર્દીઓના સગાઓ વલખાં મારી રહ્યાં હતાં. ક્યાંક ઓક્સિજનની કાળાબજારી પણ થતી હતી. ત્યારે હવે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માત્ર ૧૫ દિવસમાં ૬૦ લાખના ખર્ચે ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ઓક્સિજન પ્લાન્ટથી આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત પુરી થશે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં રિસર્ચ માટે અને ઉદ્યોગોમાં પણ આ ઓક્સિજનનો ઉપયોગ જરૂર મુજબ થઈ શકશે. મુખ્યમંત્રી રૂપાણીએ આ અવસરે કહ્યું હતું કે, ગુજરાતમાં ઓક્સિજનના અભાવે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદથી રાજ્યમાં ઓક્સિજન પુરવઠાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. જેમાં રોજની ૨૫૦ ટન ખપતથી ૧૨૦૦ ટન થઈ તો પણ કોઈ તંગી થવા દીધી નથી.

રૂપાણીએ ઉમેર્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર સામે રાજ્ય સંપૂર્ણ સજ્જ છે. જેનો એક્શન પ્લાન પણ જાહેર કર્યો છે. હવામાંથી ઓક્સિજન બનાવવાના પ્લાન્ટસ દ્વારા ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ગુજરાત ઓક્સિજનમાં પગભર થશે. સંભવિત થર્ડ વેવમાં ઓક્સિજન માંગને પહોચી વળવા ૧૧૫૦ મે.ટન થી વધારી ૧૮૦૦ મે. ટન ઓક્સિજન ક્ષમતા કરવાનું એકશન પ્લાનમાં આયોજન છે.