લાંબા સમય બાદ ગોંડલના વાતાવરણમાં પલ્ટોઃ ધીમી ધારે વરસાદ વરસ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે ગોંડલના વાતાવરણમાં સવારે પલ્ટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસી જતા રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમામાંથી રાહત અનુભવી હતી. વરસાદ આવતા જ ગોંડલ પંથકના ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા જાગી છે.

મેઘરાજા રિસાય જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાકો પર સંકટ તોળાય રહ્યું છે. વિવિધ પાકો સૂકાવા કગાર પર છે. તેમજ વરસાદની અછત હોવાથી જમીનમાં પાણીના સ્તર પણ ઉંચા આવ્યા નથી. આથી બોર કે કૂવામાં પાણી ચડ્યા ન હોવાથી ખેડૂતો પાકને બચાવવા પણ લાચાર બન્યા છે. ધોધમાર વરસાદ વરસે તેવી ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.

આટકોટમા વરસાદી ઝાપટું વરસ્યું હતું. ખેડુતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વરસાદના ઝાપટા શરૂ થયા છે. ઘણા દિવસ પછી વરસાદી ઝાપટા વરસતા રસ્તા ભીના થયા હતા.

ચાલુ વર્ષે અષાઢ મહિનો પૂરો થઇ ગયા બાદ શ્રાવણ મહિનાની શરૂઆત છતાં પણ વરસાદ ન વરસતા ખેડૂતોના પાકને નુકશાન ન થાય આ માટે રાજ્ય સરકાર દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને સિંચાઈ માટે આપવા ર્નિણય કરવામાં આવ્યો છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા ૨૦ ડેમો પૈકી માત્ર ૬ ડેમમાંથી પાણી છોડી શકાય તેમ છે.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમા ખેડૂતો એ કરેલ વાવણી બાદ વરસાદ ન વરસતા પાક નિષ્ફ્ળ જવાની ભીતીએ જગતનો તાત મેહુલિયાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ સમયે રાજ્ય સરકાર દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવા ર્નિણય કરવામાં આવ્યો છે. આ માટે સિંચાઈ વિભાગ દ્વારા સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે.