ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ૪ દિવસ ધોધમાર

ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૃચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.    ગુજરાતમાં હાલ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા રખાઈ રહી છે. બીજી બાજુ હાલ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સાયક્લોનિક સર્ક્‌યુલેશન સિસ્ટમ સક્રિયા થતાં ગુજરાતમાં ફરીથી ચોમાસુ જામે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, મંગળવારના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડશે જ્યારે ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડશે.

બુધવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, દીવ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, જુનાગઢ, ભાવનગરમાં ભારેથી અતિભારે તેમજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં ભારે વરસાદ પડશે. ગુરૂવારે ખેડા, વડોદરા, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૃચ, સુરત, નર્મદા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દીવમાં અતિભારે તો અરવલ્લી, મહિસાગર, નવસારી, વલસાડ, મોરબી, રાજકોટ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.