કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત ખોડાણા ગામની પ્રાથમિક શાળામાં નાના ભૂલકાંઓને પ્રવેશ અપાવ્યો

પાટણઃ ૨૦૦૩થી‌‌ શરૂ થયેલ અનન્ય પરંપરા રૂપી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૧મી કડી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે યોગ પ્રદર્શન, પ્રાર્થના અને ગૌરવગીતની મનમોહક પ્રસ્તુતિ, જળ અને સ્વચ્છતાના બાળવક્તા, જ્ઞાનસેતુના મેરીટધારક, તેજસ્વી વિદ્યાર્થી અને દાતા રમેશભાઈ પી. ઠક્કરનુ સન્માન, શૈક્ષણિક કાર્યની સમીક્ષા અને વૃક્ષારોપણ આજના કાર્યક્રમની વિશેષતા જોવા મળી હતી.

ખોડાણા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેખિત પ્રેરણાત્મક સુવાક્ય “मैं एक ऐसे युवा भारत का सपना देखता हूँ जो किसी भी सीमा से बंधा न हो।”ને બુલંદ કરતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે, “સરકાર અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસથી જ સ્થાનિક કક્ષાએ શિક્ષણના નવા લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાશે“.

ખોડાણા ગામના પ્રાથમિક શાળામાં હાલ ૩૮૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે બાલવાટિકામાં ૫૩, ધોરણ-૧માં ૬૩ એમ કુલ ૧૧૬ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૬૬ કુમાર અને ૫૦ કન્યાઓ છે.

આ પ્રસંગે રમેશજી, બળદેવભાઈ, પ્રહલાદભાઈ, માતમજી, દેવાભા, લાલાજી, પોપટજી, રમેશભાઈ, ગુલાબસિંહ, જશુભાઈ, લાલભાઈ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.