આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટા વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 8 લોકોના મોત
અનાકાપલ્લી: આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. પ્રચંડ વિસ્ફોટ બાદ ભયાનક આગ લાગી હતી અને જેને લઇને અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આગની જ્વાળાઓ અનેક કિલોમીટર સુધી ફેલાઈ હતી. આ વિસ્ફોટમાં ફેક્ટરીમાં કામ કરતાં આઠ શ્રમિકોના મોત થયા હતાં. જેમાં બે મહિલાઓ સામેલ છે. તેમજ સાતથી વધુ શ્રમિકો ઘાયલ છે. જિલ્લા પોલીસ કમિશનર તુહિન સિંહાએ આ સંદર્ભે માહિતી આપતાં ઘટનાની ખાતરી કરી હતી.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અનાકાપલ્લી જિલ્લાના કોટાવુરાટલામાં આવેલી ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમાં માર્યા ગયેલા આઠ શ્રમિકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ મામલે વધુ તપાસ હાથ ધરવા અને બચાવ કામગીરી માટે જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, અને રાજ્યના ગૃહ મંત્રી સાથે સંપર્ક સાધ્યો હતો.
ઈજાગ્રસ્તોને જરૂરી તમામ સારવાર સેવાઓ ઝડપથી પ્રદાન કરવાની ખાતરી કરતાં તેમણે કહ્યું હતું કે, સરકાર પીડિતોના પરિવાર પ્રત્યે સંવદેનશીલ છે. અધિકારીઓને આકરી તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. ઈજાગ્રસ્ત શ્રમિકોની હાલત ગંભીર છે.