ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે થ્રીવિંગ ઇકોનોમીઃ ફ્યુચર ઇન્ડસ્ટ્રી એન્ડ એમએસએમઇ ઈન ગુજરાત ચર્ચાસત્રમાં હાજરી આપી
ઉદ્યોગોની સ્થાપના, રોજગારી અને નિકાસમાં ગુજરાત દેશભરમાં અવ્વલ- બલવંતસિંહ રાજપૂત
- ચર્ચાસત્રમાં પાબી ડિઝાઇન્સના સ્થાપક પાબીબેન રબારી, NABET-QCiના CEO ડૉ. વરિન્દર કંવર, અશોક લેલેનના ભૂતપૂર્વ એમડી વિપિન સોઢી જોડાયા
- ગુજરાત ગુણવત્તા સંકલ્પ સમારોહમાં લઘુ, મધ્યમ અને કુટિર ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે ચર્ચાસત્રમાં હાજરી આપી હતી.
અમદાવાદઃ આ અવસરે મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના અસરકારક પ્રયાસોથી ઉદ્યોગોની સ્થાપના, રોજગારી અને નિકાસમાં ગુજરાત દેશભરમાં અવ્વલ છે. ઉદ્યોગોની સ્થાપના, વિકાસ અને વિસ્તાર માટે સરકારે કરેલા કાયદાકીય સુધારાઓ અને ગુણાત્મક પરિવર્તનને કારણે ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.
મંત્રી બલવંતસિંહ રાજપુતે ઉમેર્યું હતું કે, દેશની કુલ ઔદ્યોગિક નિકાસમાં પણ ગુજરાતનું નોંધપાત્ર યોગદાન છે. જેના પાયામાં રાજ્યની લોજીસ્ટિક હેન્ડલિંગની ક્ષમતા છે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રની ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય નિર્માણ માટે ‘કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી’ જેવી સંસ્થાઓ પણ યોગદાન આપી રહી છે. સાથોસાથ સેમિકંડક્ટર જેવી અદ્યતન ટેકનોલોજીની નિકાસ માટે રાજ્ય સરકારે આગોતરૂં આયોજન કર્યું છે. જેમાં શક્ય તેટલા ઓછા સમયમાં જરૂરી તમામ પરવાનગી આપવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ પણ આપણે વિકસાવી છે. એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી બલવંતસિંહ રાજપુતે વૈશ્વિક માપદંડોને આધારે ઉદ્યોગોના સહયોગથી ૨૦૪૭માં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ ઔધોગિક ગુણવતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ઔધોગિક ગુણવત્તાના મુખ્ય આધારસ્તંભ એવા ત્રણ મુદ્દા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, સસ્ટેનેબેલિટી અને પ્રોડકટીવિટી પર વાત કરી હતી. વધુમાં અંજુ શર્માએ ગૌરવભેર જણાવ્યું હતું કે, આજે જ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઇન્ડસ્ટ્રીયલ હાઇજીન મોનીટરીંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
અંજુ શર્માએ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડીયા (QCI) ને ગુણવતા બાબતે જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે સ્કિલ ડેવલપમેન્ટ વિશે પણ વાત કરી હતી.
ચર્ચાસત્રમાં પાબી ડિઝાઇન્સના સ્થાપક પાબીબેન રબારી, NABET-QCiના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. વરિન્દર કંવર, અશોક લેલેનના ભૂતપૂર્વ એમડી વિપિન સોઢી તથા દેશ વિદેશના ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.