વડોદરાના આજવા રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં પાણીનો વેડફાટ

વડોદરા શહેરમાં એક તરફ લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાણીની લાઇન લીકેજ થવાના કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. નોધનીય બાબત એ છે કે, સરદાર એસ્ટેટ પાસે આવેલા રામદેવનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. છતાં તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ન ધરાતા હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળી ગટરમાં ભળી રહ્યું છે. આ વિસ્તારમાં હાલ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.

છેલ્લા એક સપ્તાહથી પાણીની લાઇન લીકેજ હોવાના કારણે ગંદકી ફેલાવાની સાથે વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક લોકો અને વિસ્તારના કાર્યકરો દ્વારા સબંધિતોને અનેક વખત રજૂઆત કરવા છતાં પાણી લીકેજ અટકાવવાની કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.

એક તરફ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છે, ત્યારે બીજી તરફ છેલ્લા એક અઠવાડિયાથી પાણીનો વેડફાટ થતાં સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં છાશવારે સર્જાતા ભંગાણ એક સામાન્ય બાબત બની ગઇ છે. આ ભંગાણના કારણે હજારો ગેલન પાણી વેડફાટ થવાની સાથે તેનો સમારકામનો ખર્ચ પણ થતો હોય છે, ત્યારે આવી ઘટનાઓનુ પુનરાવર્તન ન થાય અને જ્યારે લાઇન લીકેજ થાય ત્યારે યુદ્ધના ધોરણે સમારકામ કરી પાણી બચાવવામાં આવે તેવી લાગણી અને માગણી કરી છે. તે સાથે તેઓએ આવી કામગીરીમાં લાલિયાવાડી ચલાવતા અધિકારીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.