ટાસ્ક ફોર્સે સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લીધા

ગ્યાસપુરના મહિલા આગેવાન અસ્મિતાબેન ચાવડાએ જણાવ્યુ હતુ કે ગ્યાસપુરના રહીશો મરવાના વાંકે જીવી રહ્યા હોવાનો અહેસાસ થાય છે. કારણ કે અહી મત માગવા આવતા એક પણ નેતાએ અમારી સમસ્યા દૂર કરવા માટે ક્યારેય ફરક્યા નથી. સાબરમતી નદીમાંથી પાણીના નમુના તો લેવાયા છે પરંતુ તેની યોગ્ય તપાસ થશે તો જ અમને ન્યાય મળશે. ઉપરાંત કચરાનો ડુંગર પણ અમારા ગામમાં છે. કોઇપણ જાતના નીતિ નિયમોનુ પાલન કરાયુ નથી. જેથી અમારા બાળકો પેદા થતાની સાથે જ અસ્થમા, ટીબી અને ચામડીના રોગના ભોગ બને છે. કેટલાક કેમિકલ માફિયાઓએ તો નદીમાં ગંદા અને કેમિકલયુકત પાણીના નિકાલ કરવા માટે પાઇપ લાઇનો લગાવી દીધી છે.સાબરમતી નદીમાં કેમિકલયુકત પાણી નાખીને કેટલીક કંપનીઓએ આસપાસના ગ્રામજનોને અનેક રોગોના ભોગ બનાવી દીધા હોવાથી ગ્યાસપુર ગામના લોકોએ બે વર્ષ સુધી અનેક જગ્યાએ ફરિયાદો કરી હતી. છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCB ભ્રષ્ટાચારી અધિકારીઓ સાથે ફેકટરીની સાંઠગાંઠ હોવાથી કોઇ પગલા લેવાયા ન હતા. અંતે ગઇકાલે ગ્યાસપુર ગામના લોકોએ આખરે રોડ પર આવીને ધરણાનો કાર્યક્રમ કરતાં સરકારી અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

બીજી બાજુ ગુરુવારે હાઇકોર્ટે નિમેલી ટાસ્ટ ફોર્સની ટીમોએ ગ્યાસપુર પાસે ધામા નાખીને પ્રદુષીત પાણીના નમુના લીધા હતા. છેલ્લા બે દાયકાથી સાબરમતી નદીમાં કેમિકલયુકત પ્રદુષીત પાણી ઠાલવીને નદીને ગંદી કરવામાં આવી રહી છે. જેની હાઇકોર્ટે ગંભીર નોંધ લઇને ટાસ્ક ફોર્સની રચના કરી છે. તેના ભાગરૂપે ગુરુવારે આખો દિવસ ૧૦થી પણ વધારે સરકારી ગાડીઓએ નદીના પટમાં પાણીના નમુના લઇને તેની ચકાસણી કરવા માટે આપી દીધા હોવાનુ જાણવા મળ્યુ છે. ઉલ્લેખનિય છે કે બુધવારે ગ્યાસપુર,સઇજ અને પીપળજ સહિતના ગામના લોકોએ તંત્ર સામે ધરણા અને વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. આ કાર્યક્રમ બાદ સરકારી તંત્ર હરકતમાં આવતાં આજે પાણીના નમુના લેવાયા હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા હતા.