ભારતમાં રસીકરણનો આંકડો ૯૧ કરોડે પહોંચ્યો

કેરળમાં સોમવારે કોરોનાના નવા ૮૮૫૦ કેસો નોંધાયા હતા. જ્યારે વધુ ૧૪૯ લોકોના મોત નિપજ્યા હતા. કોરોનાથી કેરળમાં એક દિવસમાં ૧૭૦૦૭ લોકો સાજા થઇ ગયા હતા. જ્યારે એક્ટિવ કેસો ૧,૨૮,૭૩૬ પહોંચ્યો છે. કેરળમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૭૪ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેરળના ૧૪ જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ કેસો છે જેમાં તિરૂઅનંતપુરમમાં સૌથી વધુ ૧૧૩૪ કેસો નોંધાયા હતા જ્યારે થ્રીસુરમાં પણ ૧૦૭૭ કેસો નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૯૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે દેશના પુખ્ત વયના ૭૦ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે દેશના ૨૫ ટકા પુખ્ત વયનાને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૭૯૯ કેસ સામે આવ્યા છે.   સતત ૧૦માં દિવસે કોરોનાના કેસ ૩૦ હજારની નીચે રહ્યા છે. જ્યારે કોરોનાથી વધુ ૧૮૦ લોકોના મોત નિપજ્યા છે. અને કુલ મૃત્યુઆંક વધીને ૪.૪૮ લાખે પહોંચ્યો છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨.૬૪ લાખે પહોંચી ગઇ છે જે છેલ્લા ૨૦૦ દિવસમાં સૌથી નીચે છે.

એક્ટિવ કેસોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૯૯નો ઘટાડો જાેવા મળ્યો છે.  ઉત્તરપૂર્વ વિસ્તારમાં પહાડીઓ આવેલી હોવાથી રસી પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાેકે હવે આવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી રસી પહોંચાડવાનું કામ શરૂ કરી દેવાયું છે. આઇસીએમઆર દ્વારા મણીપુરમાં પ્રથમ વખત ડ્રોનની મદદથી રસી પહોંચાડવામાં આવી હતી. આ માટે મેક ઇન ઇન્ડિયા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એરિયલ ૧૫ કિમી દુર સુધી આવેલી આ હોસ્પિટલમાં ૧૨થી ૧૫ મિનિટમાં આ રસી પહોંચતી કરવામાં આવી હતી. રસીકરણ ઝડપી બનાવી દેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં દરરોજ રસીના સરેરાશ ૭૯ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. ટુંક સમયમાં કુલ ડોઝનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી જાય તેવી શક્યતાઓ છે.