રાજ્યમાં આગામી દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

કચ્છમાં ચોમાસુ બેસતા વિલંબ થવાના સંકેત

ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં ૧૫ જૂને વરસાદની આગાહી કરી છે. કચ્છમાં ચોમાસુ બેસતા વિલંબ થશે.

ગુજરાતના વલસાડ ખાતે બુધવારે ચોમાસાની વિવિવત એન્ટ્રી થઈ ચુકી છે. દક્ષિણ ઓરિસ્સામાં સક્રિય થયેલી વરસાદની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં મુખ્યત્વે ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદારા નગર હવેલી, આણંદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દીવ, પોરબંદર, અમરેલીમાં વરસાદ પડશે.

હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતાઓ જણાતી નથી.  વલસાડ, નવસારીમાં સારો વરસાદ પડી રહ્યો છે આજે અમરેલીના રાજુલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વખતે ગુજરાતમાં આગાહી કરતાં ૬ દિવસ ચોમાસું વહેલુ આવ્યું છે.