સ્પેનમાં ભયાનક જ્વાળામુખી ફાટ્યો

સ્પેનમાં જવાળામુખી ફાટવાના પગલે અહીંની સ્કુલ સોમવારે બંધ રહેશે. લાવાના પ્રવાહે એપી ૨૧૨ રસ્તાને કાપી નાંખ્યો છે અને તેના કારણે ચાર રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે. આ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. જવાળામુખીની રાખથી પ્રભાવિત થતા અટકાવવા માટે ફળો અને શાકભાજીને ધોવા અને દરવાજાઓને બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. ટેનેરિફ ફાયર બ્રિગેડના બાર યુનિટ સહાયતા માટે દ્વીપ પહોંચી ગયા છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજ દ્વીપ પર પહોંચ્યા અને તેમણે અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે. અહીં તે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભાગ લેવા માટે જઈ રહ્યાં હતા. લા પાલ્માનું ક્ષેત્રફળ ૭૦૦ વર્ગ કિલોમીટરથી વધુ છે અને લગભગ ૮૫૦૦૦ લોકોની વસ્તી છે.સ્પેનના લા પાલ્મા કેનરી દ્વીપ પર જ્વાળામુખી ફાટ્યા પછી પાંચથી ૧૦ હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટને ધ્યાનમાં રાખીને હાલ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રિએક્ટર સ્કેલ પર લગભગ ચાર પોઈન્ટનો ભૂકંપ આવ્યા પછી આ વિસ્ફોટ થયો છે. ટીવી દ્વારા બતાવવામાં આવેલા દ્રશ્યોમાં જવાળામુખીમાંથી લાવા, ધુમાડો અને રાખ નીકળતી જોવા મળી. જોકે ઘટનાના પગલે હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. જોકે સંપત્તિઓને મોટુ નુકસાન થયું છે. રવિવારે સાંજે અધિકારીઓએ ઈમરજન્સી યોજના મુજબ એલ પાસો, તાજાકોર્ટ અને લાસ લાનોસ ડી અરિડેનમાંથી અનુમાનિત પાંચ હજાર લોકોને કાઢવાનું શરૂ કર્યું છે. આ પહેલા લગભગ ૪૦ લોકો અને જાનવરોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા.