હળવદમાં આગની દુર્ઘટનાના વિસ્થાપિત શ્રમિક પરિવારોની વહારે આવી સંસ્થાઓ

હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ ૨૨૦ સબ સ્ટેશનની બાજુમાં સાત જેટલા ઝૂંપડામાં આગ લાગતા આ સાતેય ઝુંપડા સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયા હતા. જેથી શ્રમીક પરિવારને ઉપર આભ અને નીચે ધરતી જ માત્ર આધાર રહ્યો હતો. આવા સમયે હળવદ રોટરી ક્લબ ,હળવદ બજરંગ યુવા ગ્રુપ , હળવદ શહેર યુવા ભાજપ,હળવદ બજરંગ દળ તેમજ વિવિધ સેવાભાવી યુવાનો દ્વારા આ શ્રમિક પરિવારો ફરીથી વ્યવસ્થિત રીતના રહેણાંક બનાવી શકે તે માટે થઈને તમામ વસ્તુઓ અને રાશન કીટ આપવામાં આવી હતી.

હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ ૨૨૦ સબ સ્ટેશનની બાજુમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આગની દુર્ઘટના સર્જાઈ હતી.આ આગની દુર્ઘટનામાં સાતેક જેટલા ઝુંપડા ભસ્મીભૂત થઈ ગયા હતા અને ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી નાશ પામી હતી.આથી આ ઝુંપડાના શ્રમિક.પરિવારો નોંધારા બની ગયા હતા.ત્યારે વિસ્થાપિત બનેલા આ શ્રમિક.પરિવારો ફરી મકાનમાં વસવાટ કરી શકે તે માટે તેમને સહાયરૂપ થવા વિવિધ સંસ્થાઓ આગળ આવી હતી. બજરંગ યુવા ગ્રૂપ દ્વારા શ્રમિક પરિવારોને અનાજની કીટ આપવામાં આવી હતી.

તેમજ રોટરી કલબ હળવદ દ્વારા મજબૂત ઝુંપડા બનાવવાનો સર સમાન,અનાજની કીટ આપવામાં આવી હતી.તથા યુવા ભાજપની ટીમ દ્વારા વિસ્થાપિત સાતેય પરિવારને સ્ટીલના પતરા આપવામાં આવ્યા હતા.આથી આ શ્રમિક પરિવારો પુનઃ વસવાટ કરી શકશે.