અદ્દભૂત ઘટનાઃ જામનગરમાં સાપના ઇંડામાંથી બચ્ચાને રેસ્ક્યુ કરાયા

છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર ક્લબ ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે.

આવી સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી સેવા આપતા પકૃતિ પ્રેમી ડો. અરુણ કુમાર રવિને જામનગરના એરફોર્સ-૨ રહેણાંક વિસ્તારમાંથી ઘરમાં સાપ હોઇ સાપને પકડવા માટે ફોન આવતા તરતજ ત્યાં પહોંચી રહેણાંક વિસ્તારમાંથી ઘઉંલો પ્રજાતિના સાપને પકડી તેની બચાવ કામગીરી હાથ ધરી હતી.

ત્યારબાદ આ સાપને લાખોટા નેચર કલબ સંસ્થામાં રાખવામાં આવતા જણાયું હતું કે આ સાપે ૨૧ જેટલા ઈંડા મૂક્યા હતા. જેથી સંસ્થામાં પ્રકૃતિ પ્રેમી અરુણ કુમાર, રજત ભાઈ, તેમજ સુરજભાઈ જાેશી દ્વારા આ ઈંડાંને સાચવી રાખ્યા હતા. ત્યારબાદ આ ઈંડાને ૫૬ દિવસ સુધી જરૂરી વાતાવરણ તેમજ તાપમાન સાથે ઉછરવા માટે રાખવામાં આવ્યા હતા.

૫૬ દિવસની મહેનત અને જહેમત બાદ તેમજ રોજબરોજની વૈજ્ઞાનિક જાળવણી બાદ આ દરેક ઈંડામાંથી બચ્ચાઓને જન્મ આપવામાં સફળતા મળી હતી. જેમાંથી ૧૭ ઈંડામાંથી સફળતાપૂર્વક સાપના બચ્ચાંઓ બહાર આવ્યા હતા, તેમજ ૪ ઈંડામાંથી કોઈ કારણોસર બચ્ચાં નીકળી શક્યા ન હતા. ત્યારબાદ નવા જન્મેલા ૧૭ બચ્ચાઓને વન વિભાગની મદદથી પ્રકૃતિના ખોળે ફરીથી છોડી મુકવામાં આવ્યા હતા.