સૌરાષ્ટ્રવાસીઓ આનંદોઃ ચોમાસા પહેલાં ૧૨૫ તળાવ અને ૮૦૩ ચેકડેમ છલોછલ

સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનના એંધાણ દેખાઇ રહ્યા છે. પરંતુ કાળઝાળ ઉનાળા અને આકરા તાપમાં સૌરાષ્ટ્રની તરસી ધરતીને પરી તૃપ્ત કરવાનું કામ નર્મદાનીર દ્વારા થયું છે. અત્યાર સુધીમાં જૂદી – જૂદી ચાર લીંક દ્વારા ૧૨૫ તળાવો અને ૮૦૩  ચેકડેમમાં નર્મદાનીર ઠાલવીને સૌની યોજના હેઠળ ચોમાસા પહેલાં જ અનેક વિસ્તારોમાં જલ મંદિરોને છલકાવી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના ગામડાઓમાં દર વર્ષ ઉનાળાના દિવસો દરમિયાન પીવાના પાણી અને સિંચાઇના પાણીનો પ્રશ્ન મુંઝવણરૂપ રહ્યો છે. પરંતુ નર્મદા નીરના આગમન બાદ અનેક વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પણ ખેતરોમાં સિંચાઇ માટે પુરંતુ પાણી મળી રહે છે. સૌની યોજના હેઠળ અત્યારે સરદાર સરોવર યોજના હેઠળની જૂદી – જૂદી ચાર લીંક મારફતે પાણી જૂદા – જૂદા વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. જેની વિગતોનાં સંદર્ભમાં સૌની યોજનાના સુત્રો જણાવે છે કે, જસદણ તાલુકામાઅંતરિયાળ ગામોમાં પાણીનો પ્રશ્ન ગંભીર હોવાથી ગોંડલાધાર, સોમ્લપર, જસાપર, પાંચવડા, વડોદ સહિતના ગામોના તળાવો ભરી દેવામાં આવ્યા છે. અત્યારે લીંકે -૧માંથી ૪૩૫એમસીએફટી લીંક-રમાંથી ૨૭૦ એમસીએફટી લીંક-૩માંથી ૪૫૦ એમસીએફટી અને લીંક ૪માંથી ૪૫૦ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે.

આગામી તા. ૩૦ જૂન સુધી નર્મદાનીર ચાલુ રાખવાની સુચના છે. પરંતુ સૌરાષ્ટ્રના જૂદા – જૂદા વિસ્તારોની સુકી ધરતી હવે પરીતૃપ્ત થઇ ગઇ હોવાથી ૧૫ જૂન પછી પાણી બંધ કરવામાં આવે તેવી સંભાળના છે. અત્યાર સુધીમાં ૧૨૫ તળાવો અને ૮૦૩ ચેકડેમ ભરી દેવામાં આવ્યા છે. વિના વરસાદે અનેક જળાશયો છલોછલ જોવા મળે છે. સૌરાષ્ટ્ર માટે આશિર્વાદ રૂપ સૌની યોજના હજુ અઠવાડિયા સુધી ચાલુ રહેશે.