રાજ્યમાં ગરમીની ઘટ વચ્ચે આગામી ૫ દિવસ વરસાદની આગાહી

‘તાઉ તે’ વાવાઝોડાની વિદાય પછી પણ હજુ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. આગામી ૨૪ કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળો પર હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. હજુ ભેજનું ઉંચું પ્રમાણ હોય રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે. ૨૪ કલાક પછી ગરમીનો પારો ઉંચો જશે તેમ હવામાન ખાતાનું કહેવું છે.

હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે ભેજનું પ્રમાણે સવારે ૮.૩૦ વાગ્યે ૭૩ ટકા અને સાંજે ૫.૩૦ વાગ્યે ૪૯ ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાનમાં આગામી ૨૪ કલાક સુધી કોઈ ફેરફાર થશે નહીં.

ત્યારબાદ ૦૨થી ૦૩ ડિગ્રી સુધી તાપમાન વધશે વાવાઝોડાના કારણે માંડ માંડ ગરમી જામી હતી ત્યાં હળવી ઠંડક આવી ગઈ છે. ભેજયુક્ત પવનના કારણે સ્થિતિ એવી બની છે કે લોકો પરસેવે રેબઝેબ બની જાય છે. આવી ગરમી, બફારો અને પરસેવો વળવાની ઘટના ચોમાસામાં બનતી હોય છે. કેમકે ત્યારે ગરમી ખાસ્સી ઘટી ગઈ હોય છે. હજુ તો વૈશાખ માસ ચાલી રહ્યો છે અને આકરાં તાપ પડવા જાેઈએ તેના બદલે ગરમી ઘટી ગઈ છે.

રાજકોટ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં વાતાવરણ સુક્કું રહેશે.

પાંચમા દિવસે તા.૨૭ થી ૨૮ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે.

આગામી ૨૭ અને ૨૮મી મેના રોજ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને નવસારી અને વલસાડમાં વરસાદી ઝાંપટા પડવાની વકી છે. બીજી તરફ સુરતમાં રવિવારે બપોેર સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મહતમ તાપમાનમાં ૧ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો.

રવિવારે સુરતનું મહતમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮.૦ ડિગ્રી નોંધાયું હતુંય જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા અને પવનની મહતમ ઝડપ પ્રતિ કલાક ૮ કિલોમીટરની નોંધાઇ હતી. મહતમ તાપમાનમાં ૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. તાપમાન વધવા સાથે આકરી ગરમી અને બફારાએ ઉપાડો લેતાં લોકો તોબા પોકારી ઉઠયાં હતા. બપોરે ચામડી દઝાડતી ગરમી લાગતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૭ અને ૨૮મી મેના રોજ નવસારી, વલસાદ સહિત દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.