પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ૪.૫ની તીવ્રતાના ભૂકંપથી હચમચી

ભૂકંપનાં જોરદાર આંચકાથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ હચમચી ઉઠ્યું હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૬.૩૯ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ નોંધાઇ હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી હતી. વળી, તેનું કેન્દ્ર રાજધાનીથી ૧૪૬ કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ ભૂકંપનાં આંચકા રાજધાની તેમજ આસપાસનાં વિસ્તારોમાં અનુભવાયા હતા. આપને જણાવી દઈએ કે, આ પહેલા ગુરુવારે સાંજે ઇસ્લામાબાદમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ મોનિટરિંગ કેન્દ્રએ જણાવ્યુ કે, ગુરુવારે સાંજે ઇસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વાનાં કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૪ નોંધાઇ હતી. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં પણ ઇસ્લામાબાદ, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાનાં કેટલાક ભાગોમાં ૬.૪ ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો.

જાપાનનાં હોક્કાઇડો વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર ૫.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. જાપાનની હવામાન એજન્સી (જેએમએ) એ કહ્યું કે, ભૂકંપ રાત્રે ૮.૦૮ વાગ્યે આવ્યો હતો. રવિવારે રાત્રે તેનું કેન્દ્ર ૪૩.૫ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૧૪૨.૭ ડિગ્રી પૂર્વ દેશાંતર અને ૩૦ કિમીની ઉંડાઇ પર નોંધાયો હતો. જાપાની ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર હોક્કાઇડો પ્રાન્તનાં અમુક વિસ્તારમાં ૩ નોંધાઇ હતી. હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી અને નુકસાનનાં કોઈ સમાચાર નથી.